ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :
૮ ગુજરાત એનસીસી નેવલ યુનિટ દ્વારા આયોજિત Pre – AINSC ( Pre All India Nau Sainik Camp) અને CATC ( Combined Annual Training Camp) નું પણ નિરીક્ષણ કરી, નેવલ એનસીસી કેડેટ્સ સાથે વાર્તાલાપ કરી તેમને પ્રોત્સાહિત કર્યા.
ગુજરાત NCC ડાયરેક્ટરેટના એડિશનલ ડાયરેક્ટર જનરલ, મેજર જનરલ બિમલ મોંગા SM, VSM એ આઇએનએસ વાલસુરાની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન તેઓ આઈએનએસ વાલસુરાના કમાન્ડિંગ ઓફિસર કમોડોર રાહુલ શર્માને મળ્યા હતા. તેમની સાથે વાર્તાલાપમાં ભારતીય નૌસેનાની આ પ્રતિષ્ઠિત તાલીમી સંસ્થાના સમૃદ્ધ ઇતિહાસ, ગૌરવપૂર્ણ વિરાસત અને કાર્યપ્રણાલીની જાણકારી મેળવી હતી. ભારતીય નૌસેનાના અત્યાધુનિક સાધનો તથા વ્યવસાયિક ઉત્કૃષ્ટતાના આયામોમાં આ તાલીમી સંસ્થાની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે તેઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
ભારતીય નૌસેનાના અધિકારીઓ, નાવિકો તથા અગ્નિવિરોને અહીં અપાતી પ્રખર અને અત્યાધુનિક તાલીમ અંગે પણ તેમને જણાવવામાં આવ્યું હતું. સમુદ્રી સુરક્ષાના મુદ્દે ભારતીય નૌસેનાની પ્રબળ ક્ષમતા તથા વર્ષ 1942 થી ગૌરવપૂર્ણ ઈતિહાસ ધરાવતા આઈએનએસ વાલસુરાની ઉત્તરોત્તર પ્રગતિની સાક્ષી બનેલા વાલસુરાના “નૌસેના મ્યુઝિયમ”ની પણ તેઓએ મુલાકાત લીધી હતી.
બાદમાં, AINSC રાષ્ટ્રીય કેમ્પમાં ભાગ લેવા જઈ રહેલા 36 એનસીસી કેડેટ્સની પૂર્વ તૈયારીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવા મેજર જનરલ બિમલ મોંગા વોટરમેનશીપ તાલીમકેન્દ્રની મુલાકાતે ગયા હતા. ત્યાં તેઓ સમક્ષ નેવીના એનસીસી કેડેટ્સે સીમાફોર ( ફ્લેગ દ્વારા જહાજોમાં સંદેશ આદાન-પ્રદાન), રીગિંગ ( જુદા જુદા પ્રકારની ગાંઠ બાંધવાની તાલીમ), 27 Feet DK Whaler બોટનું શઢ ચઢાવવા તથા બોટ પુલિંગની તાલીમની ચર્ચા તથા શીપ મોડેલિંગ ( નૌસેનાના જહાજનું લાકડાનું નાનું પાણીમાં તરતું મોડેલ ) અંગેનું નિદર્શન કર્યું હતું. તેમણે કેડેટ્સની આકરી તાલીમને બિરદાવી લોનાવાલામાં આયોજિત થનારા નૌસેનાના આગામી રાષ્ટ્રીય કેમ્પમાં પોતાના કૌશલ્યનું સર્વોત્તમ પ્રદર્શન કરી એનસીસી ગુજરાત ડાયરેક્ટરેટને ગૌરવ અપાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ સાથે તેઓએ સશસ્ત્ર સીમા બલના (SSB Ground , Valsura Road ) પરિસરમાં 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા આયોજિત દસ દિવસીય વાર્ષિક તાલીમી કેમ્પ ( CATC) ની પણ મુલાકાત લીધી હતી. જેમાં વિવિધ શાળા કોલેજના 400 જેટલા કેડેટ્સની રોજિંદી પરેડ તાલીમ, આર્મી, એરફોર્સ તથા નેવી સ્ટેશનની મુલાકાત, સ્ત્રી સશક્તિકરણ – નેતૃત્વ શક્તિના પરિસંવાદ , ફર્સ્ટ એડ અંગેની તાલીમ, ભારતીય નૌસેનાના યુદ્ધ જહાજોની માહિતી તથા શસ્ત્ર સંચાલન તેમજ ભારતીય નૌસેનામાં કારકિર્દી અંગે અપાતી માહિતી આ તમામ આયામોની
કેડેટસ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી અને એનસીસી તેઓને કઈ રીતે સર્વાંગી વિકાસમાં મદદરૂપ બને છે તે અંગેની સમજણ આપી હતી. આ મુલાકાત દરમિયાન જામનગર એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર્સના ગ્રુપ કમાન્ડર, બ્રિગેડિયર પી શશીની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
