કેબિનેટ મંત્રી મુળુ બેરાની ઉસ્થિતિમાં જામનગરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં તા.15મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જામનગર શહેરના ચાંદીબજાર ચોકમાં રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક વારસો, વન અને પર્યાવરણ તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાનના રેકોર્ડેડ સંદેશ, શપથના વિડીઓનું પ્રસારણ તથા વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લભાર્થીઓએ સરકારની યોજનાઓ થકી તેઓને મળેલા લાભો અંગે પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોએ લાભો એનાયત કર્યા હતા.

આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતને સ્માર્ટ અને સુવિધાપૂર્ણ બનાવવાની તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના પરિણામે ગુજરાતમાં વસતા લોકોના મુખ ઉપર ખુશહાલી જોવા મળી રહી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા ૨૦૪૭માં વિકસિત ગુજરાત કેવું હશે એ વિઝન સાથે સરકાર મક્કમતાથી જનહિતલક્ષી કાર્યો આગળ ધપાવી રહી છે. જનહિતલક્ષી યોજનાઓના લાભથી એકપણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા એક મહત્વપૂર્ણ સોપાન બની રહેશે. આ યાત્રા થકી સરકારની મહત્વની ૧૭ યોજનાઓનો લાભ લાભાર્થીઓને મળી રહ્યો છે. સશક્ત સમાજના નિર્માણ માટે સરકારની અનેક અમલી યોજનાઓનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓ લેવા મંત્રીએ લોકોને અપીલ કરી હતી.

સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, સરકારની યોજનાઓનો લાભ લોકોને ઘર આંગણે મળી રહ્યો છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી યોજનાઓનો લાભ લેવા સાંસદે નાગરિકોને જણાવ્યું હતું. મુદ્રાલોનમાં હવે પુરુષોની સાથે સ્ત્રીઓ પણ લાભ લેતી થઈ છે. પીએમ સ્વનિધિ યોજના થકી ફેરિયાઓની આર્થિક સ્થિતિ સુધરી છે. પ્રધાનમંત્રી ઉજ્વલ્લા યોજનાનો વડાપ્રધાનએ પ્રારંભ કરાવ્યો હતો. પરંપરાગત રસોઈ ઈંધણના ઉપયોગથી ગ્રામીણ મહિલાઓના સ્વસ્થ્ય તેમજ પર્યાવરણ પર હાનિકારક અસરો થતી હતી પરંતુ ઉજવલ્લા યોજના થકી સ્વચ્છ ગેસ પૂરો પાડવામાં આવે છે. સરકારની આવી અનેક યોજનાઓનો લાખો લોકોએ ભાગ લીધો છે. જેના થકી વિકસિત ભારતનું નિર્માણ થઈ રહ્યું છે.

કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે રથનો લીલીઝંડી આપી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. વિકસિત ભારત રથ દરરોજ જામનગર શહેરના બે વોર્ડમાં ફરશે.

આ કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, મતી રીવાબા જાડેજા, ડેપ્યુટી મેયર મતી ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઇ નાખવા, કમિશનર ડી એન મોદી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, પૂર્વમંત્રી વસુબેન ત્રિવેદી, કોર્પોરેટરો, અધિકારીઓ, અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.