દિકરીઓને ઘરમાં જ લાગણી અને હુંફ આપો કે જેથી તે ભાગીને અન્ય સમાજમાં લગ્ન ન કરે :આર.પી.પટેલ

ગુજરાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક,અમદાવાદ :

અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા (504 ફૂટ) જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામ ખાતે સંસ્થાના ટ્રસ્ટીઓ, હોંદ્દેદારો અને કાર્યકર્તાઓનું શનિવારે ભવ્ય સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. વિશ્વઉમિયાધામ મંદિર પરિષરમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ તેમજ અમેરિકા અને બ્રિટન સહિતના દેશોમાંથી સંસ્થાના દાતાઓ અને ટ્રસ્ટીઓ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સ્નેહમિલન સમારોહમાં અંદાજિત 1 હજારથી વધુ મા ઉમિયાના ભક્તો પધાર્યા હતા. સ્નેહમિલન કાર્યક્રમમાં વિશ્વઉમિયાધામના વૈશ્વિક સંગઠનને મજબૂત બનાવવા અને પાટીદાર સહિત તમામ વર્ગના લોકો સુધી સંસ્થાની સેવાઓ પહોંચાડવાનો સંકલ્પ લેવાયો હતો. વિશેષરૂપે અમેરિકાથી પધારેલા NRI મિત્રોએ સંસ્થાની વિવિધ પ્રવૃતિઓને વિદેશોમાં ઘર-ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો હતો.

આ પ્રસંગે કાર્યકર્તાઓ અને ટ્રસ્ટીઓને સંબોધન કરતા વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી.પટેલે દાતાઓને પણ માર્મિક ટકોર કરી હતી. કહ્યું કે રાજકીય લાભ ખાટવા માટે દાનની જાહેરાત કરનારા દાતાઓએ સમાજની કોઈ પણ સંસ્થાઓમાં સમયસર પોતાના દાનની રકમ ચુકવી દેવી જોઈએ. વધુમાં તેઓએ વિશ્વ ઉમિયા સુરક્ષા કવચથી 5000 લોકોને સુરક્ષિત કરવા માટે સંકલ્પ લેવડાવ્યા હતા.

આ તકે આર.પી.પટેલે પાટીદાર સમાજમાંથી અન્ય સમાજમાં ભાગીને લગ્ન કરતી દિકરીઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. અને તેઓ બેઠેલા તમામને સુનિશ્ચિત કરાવ્યું હતું કે આપણી દિકરીઓ પરિવારના સભ્યો જ સમય આપે અને તેને લાગણીઓ આપે કે જેથી તેઓ અન્ય યુવાનો સાથે ભાગી ન જાય. મહત્વપૂર્ણ છે કે વિશ્વઉમિયાધામના સંકલ્પને પરીપૂર્ણ કરવા સંગઠનના તમામ કાર્યકર્તાઓએ પણ એકી સુરે તમામ કાર્યને પૂર્ણ શક્તિથી પુરા કરવા કટિબદ્ધતા દર્શાવી હતી.