ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, સોમનાથ :
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રોફેસર અને પ્રખર રાષ્ટ્ર ભક્ત માઁ ભારતી ની અનન્ય સેવિકા જેમણે પોતાનું તન મન ધન સમર્પિત કર્યું છે એવા સંસ્કૃત વિદુષી ડૉ.કુંજલ ત્રિવેદી સમગ્ર વિશ્વગુરુ ભારત ના પ્રણેતા એવા નરેન્દ્ર મોદીની સોમનાથ માં આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વ ની સદ્ભાવના જન સભામાં ઉપસ્થિત રહીને આકર્ષક શૈલીમાં વિશેષ ધાર્મિક સંદેશો આપ્યો હતો
વડાપ્રધાન મોદીએ સોમનાથ સ્વાભિમાન પર્વની શોર્ય યાત્રામાં સહભાગી થઈ ખુલ્લી જીપમાં હજારો શિવભક્તો-ગુજરાત અને દેશભરના પ્રવાસીઓ ભાવિકોનું અભિવાદન ઝીલ્યું હતું.
સોમનાથના શંખ સર્કલથી શરૂ થયેલી આ શોર્ય યાત્રામાં વડાપ્રધાને પ્રારંભે શિવનું પ્રિય વાદ્ય ડમરું લઈ શિવભક્તોનો ઉત્સાહ વધાર્યો હતો. હર હર મહાદેવ જય સોમનાથ ભારત કી જયના નાદ, ઋષિ કુમારોનો શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર ઉપરાંત કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારતના વિવિધ રાજ્યોના કલાકારોએ 20 થી વધુ પ્લેટફોર્મ પર ભારતની પ્રાચીન અને સમૃદ્ધ કલા વારસાને ઉજાગર કરતી સાંસ્કૃતિક કૃતિઓ – નૃત્ય રજૂ કરી આ યાત્રાને ઐતિહાસિક અને દિવ્ય બનાવી હતી.
આ શોર્યયાત્રા એક ભારત શ્રેષ્ઠ ભારતનું પણ પ્રતીક બની હતી અને સોમનાથની વિરાટ અને શાશ્વત આધ્યાત્મિક ચેતનાના પણ આ શોર્ય યાત્રામાં દર્શન થયા હતા.
આ યાત્રામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ વડાપ્રધાનની સાથે સહભાગી થયા હતા.
સોમનાથ પર ૧૦૦૦ વર્ષ પહેલાં આક્રમણ છતા બમણી આધ્યાત્મિક શક્તિથી અજેય, શાશ્વત અને અતુટ શ્રદ્ધાથી દિવ્યમાન પ્રથમ જ્યોતિર્લિંગ મહાદેવની આરાધના સાથે ઐતિહાસિક બનેલી સોમનાથ સ્વાભિમાન પર્વની શોર્યયાત્રા ભારતીય સંસ્કૃતિની શક્તિને ઉજાગર કરતી હતી.ભારતની વિવિધ પરંપરા, સનાતન સંસ્કૃતિ અને વિવિધતામાં એકતાના દર્શન થયાં હતા.
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહભાગી થયા ત્યારે સોમનાથના શંખ સર્કલ પર ‘હર હર મહાદેવ..’ અને ‘જય સોમનાથ’ના દિવ્ય જય ઘોષ સાથે હજારો લોકોએ પીએમનું પુષ્પોથી સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શંખ સર્કલથી હમીરસિંહ સર્કલ સુધી માર્ગ પર વિરાટ જનમેદનીનું પણ અભિવાદન ઝીલ્યું હતું.
પ્રભાસક્ષેત્રની પુણ્યભૂમિ પર શંખ સર્કલ થી શરૂ થયેલી આ ‘શોર્યયાત્રા’ ની આગેવાની શૌર્યના પ્રતિક સમા ઘોડા પર કેસરી સાફામાં સજ્જ અને હાથમાં કેસરી ધ્વજ લહેરાવી ૧૦૮ જેટલા અશ્વસવારોએ લીધી હતી.
જેમ સોમનાથની સખાતે નીકળેલાં હમીરસિંહ ગોહિલની અશ્વ પરની પ્રતિમા સોમનાથની સાંસ્કૃતિક ભવ્ય વિરાસતને અખંડ – અજેય અને શાશ્વતતાના પ્રતિક સાથે યુવા પેઢીને પ્રેરણા આપે છે. એ જ રીતે ૧૦૮ જેટલા અશ્વસવારોએ હાથમાં કેસરિયો ધ્વજ લહેરાવી સનાતન સંસ્કૃતિનો સંદેશ આપ્યો હતો.
શ્લોકના દિવ્ય ઉચ્ચારણ વચ્ચે ઋષિ કુમારોએ શંખનાદ કરી ડમરૂના ગગન ગજાવતા નિનાદ સાથે ‘શૌર્યયાત્રા’માં સોમનાથની ભવ્યતા દિવ્યતા અને આધ્યાત્મિક ચેતનાનો સંદેશ આપ્યો હતો.
આ ભવ્યાતી ભવ્ય શૌર્ય યાત્રામાં ભારતની સંસ્કૃતિ,ભારતની આસ્થા અને શ્રદ્ધાના તો દર્શન થયા જ હતાં સાથે-સાથે ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ ની વિભાવનાને ચરિતાર્થ કરતા રંગબેરંગી કાર્યક્રમો રજૂ થયાં હતાં.
શૌર્યયાત્રામાં ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ ની ભાવના દર્શાવતા ગુજરાતની ઓળખ સમા ગરબા, ટિપ્પણી રાસ અને કચ્છી ગરબો, તલવાર રાસ, ભરત નાટ્યમ, રાસ નૃત્ય, ઉત્તર પ્રદેશનું મયુર નૃત્ય, ખ્યાતનામ નાસિક ઢોલ દ્વારા મહાકાલ મંજીરા, દિલ્હી અને મણીપુરની ‘લોટસ ગર્લ્સ’ની પ્રસ્તુતી, રાજસ્થાનનું ઘૂમર નૃત્ય, પંજાબનું ગીધ્ધા ડાન્સ, મધ્યપ્રદેશનું બધાઈ અને ગુડુમ બાજા નૃત્ય, રાજસ્થાનનું ભવાઈ નૃત્ય અને ગૈર, જમ્મુ કાશ્મીરનું રૌફ નૃત્ય તેમજ કેરળ-કર્ણાટક સહિતના વિવિધ રાજ્યોના કલાકારોની પ્રસ્તુતીથી લોકો મંત્રમુગ્ધ થયાં હતાં.
શોર્ય યાત્રાના સમગ્ર રૂટ પર સજાવેલા શિવજીના તાલવાદ્ય ‘ડમરુ’, ‘ત્રિશૂળ’ સહિત ‘જય સોમનાથ, ‘હર હર મહાદેવ’, ‘ઓમ્’ , ‘સ્વસ્તિક’ના આકર્ષક ફ્લોટ્સ અને ગીરની ઓળખ સમા સિંહની પ્રતિકૃતિ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
હમીરજી સર્કલ સુધી નીકળેલી આ સમગ્ર શોર્ય યાત્રા જાણે સોમનાથનો ઇતિહાસ પુનઃ જીવિત કરતી હોય અને અતૂટ સોમનાથના સ્વાભિમાનની ગાથા વર્ણવતી હોય એવું લાગી રહ્યું હતું.
ઋષિ કુમારો, સ્વયંસેવકોની સાથે યાત્રામાં શિક્ષણ મંત્રી ડો.પ્રદ્યુમન વાજા અને ઉર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઇ વેકરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. અને આ સોમનાથ ની પાવન ધારા આજના દિવસે ધન્ય બની હતી. અને આ સમગ્ર કાર્યકમની 5 દિવસના સોમનાથ પર્વના યજ્ઞની પૂર્ણાહુતિ થઈ હતી.
