જામનગરમાં સર્કલ પાસે રેલવે ખુલ્લો મુકાતા શહેરીજનોમાં વરસતા વરસાદે હરખની હેલી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : 

જામનગર શહેરમાં દિગજામ સર્કલથી વુલન મિલ તરફના રેલવેના નવનિર્મિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓવર બ્રિજને રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે લોકાર્પિત કરતાં શહેરીજનોમાં આનંદની લાગણી વ્યાપી છે.

શહેરની અંદાજે એકાદ લાખની વસ્તીને અસરકર્તા એવા ડો.બાબા સાહેબ આંબેડકર ઓવર બ્રિજને ખુલ્લો મુકતાની સાથે જ તેના પરથી વાહનચાલકો પસાર થયા હતા અને નવા બ્રીજનો પ્રારંભ થઈ જતાં સ્થાનિક વિસ્તારના લોકોએ આનંદ ની લાગણી વ્યક્ત કરી હતી.નવા બ્રિજનું ઇ-લોકાર્પણ થયા પછી શહેરમાં પડી રહેલા ધોધમાર વરસાદમાં પણ અનેક વાહન ચાલકો નવા બ્રિજ પરથી ઉત્સાહભેર પસાર થયા હતા.

જામનગર શહેરમાં ગુલાબ નગર,  સમર્પણ ઓવર બ્રિજ, બેડી ઓવર બ્રિજ અને ત્યાર પછીનો આ ચોથો ઓવરબ્રિજ નિર્માણ પામ્યો છે. ઉપરાંત એક અંડર બ્રિજનું પણ શહેરમાં નિર્માણ થયું છે. જામનગર શહેરની મધ્યમાં આવેલ તમામ રેલવે ફાટકો પર ઓવરબ્રિજ અથવા અંડર બ્રિજનું નિર્માણ થઈ ગયું હોવાથી જામનગર શહેર આજે ફાટક મુક્ત બન્યું શહેર બન્યું છે.