ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક મળી

ગુજરાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર :

  • રાજ્યમાં NDRFની ૯ અને SDRFની ૧ ટીમ તૈનાત કરવામાં આવી છે
  • રાજ્યના ર૦૬ જળાશયોમાં ૧.૮૯ લાખ MCFT પાણીનો સંગ્રહ-હાઇ એલર્ટ-એલર્ટ અને વોર્નિંગ પર ૧ -૧ જળાશય

કેન્દ્રીય હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સમયમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. એટલું જ નહિ, તા. ૭ થી ૧૦ જુલાઇ દરમ્યાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ દર્શાવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્ય સરકારના અને જિલ્લાઓના તંત્રએ જે રાહત બચાવ અને પ્રિપેડનેસ સંબંધી આગોતરા પગલાં લીધા છે તેની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી.

મુખ્યમંત્રીએ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં યોજેલી આ સમીક્ષા બેઠકમાં રાજ્યમાં પાછલા ર૪ કલાક દરમ્યાન થયેલા વ્યાપક વરસાદની છણાવટ કરવામાં આવી હતી.

તદઅનુસાર, રાહત કમિશનરએ વિગતો આપતાં કહ્યું કે, ગત ૨૪ કલાક દરમ્યાન રાજયમાં ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા તાલુકામાં ૧૬૮ મી.મી અને કોડીનાર તાલુકામાં ૧૫૯ મી.મી વરસાદ નોઘાયેલ છે.

દેવભુમિ ઘ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ૧૫૩ મી.મી, જુનાગઢના માંગરોળ તાલુકામાં ૧૧૯ મી.મી અને મહિસાગરના કડાણા તાલુકામાં ૧૪૫ મી.મી વરસાદ જેટલો ભારે વરસાદ નોંઘાયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ વઘુમાં તા.૦૭/૦૭/૨૦૨૨ થી તા.૧૦/૦૭/૨૦૨૨ સુઘી ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે.

ગીર સોમનાથ,જુનાગઢ ,દેવભુમી ઘ્વારાકા,સુરત,નવસારી ,વલસાડ,પોરબંદર વિગેરે જિલ્લાઓમાં થયેલ ભારે વરસાદ સંબંઘે ડીઝાસ્ટર પ્રિપેડનેશ અંગે મુખ્યમંત્રીએ તલસ્પર્શી સમીક્ષા કરીને આગામી સમયમાં રાહત બચાવ કામગીરી માટે એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફ ની ટીમ સંબંઘિત જિલ્લાઓમાં ડીપ્લોય કરવા માટે જરૂરી સુચનાઓ આપી હતી.

હાલ રાજયમાં NDRF ની ૯ ટીમો તૈનાત છે તેમાંથી ગીર સોમનાથ-૧, નવસારી-૧, બનાસકાંઠા-૧, રાજકોટ-૨, વલસાડ-૧,સુરત-૧,ભાવનગર-૧, કચ્છ -૧ માં NDRF ની ટીમો ડીપ્લોય કરવામાં આવેલી છે. એસ.ડી.આર.એફ ની ૧- ટીમ પોરબંદર જિલ્લામાં ડીપ્લોય કરવામાં આવેલ છે તેની પણ વિગતો બેઠકમાં આપવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ રાજયમાં હાલ સિચાઇ તેમજ પીવાના પાણી સંબંઘે ૫રીસ્થિતિ અન્વયે કરેલી સમીક્ષામાં જણાવાયું હતું કે, હાલ સરદાર સરોવર જળાશયમાં ૧૪૩૯૧૯ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. તે કુલ સંગ્રહ શકિતના ૪૩.૦૮ % છે.

એટલું જ નહિ, રાજયનાં ૨૦૬ જળાશયોમાં ૧,૮૯,૩૪૫ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૩૩.૯૨% છે.

હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર ૦૧ જળાશય, એલર્ટ ૫ર ૦૧ જળાશય તેમજ વોર્નીગ ૫ર ૦૧ જળાશય છે.

રાજયમાં હાલના ચોમાસુ અન્વયે ચાલુ વર્ષે અંદાજીત ૩૦,૨૦,૬૧૬ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.૦૪/૦૭/૨૦૨૨ સુધીમાં થયેલ છે. તેની વિગતો કૃષિ વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ આપી હતી.

ગુજરાત પ્રદેશના હવામાન વિભાગના નિયામક સુ મનોરમા મોહંતીએ આગામી દિવસોમાં જે વિસ્તારોમાં વધુ વરસાદની સંભાવનાઓ છે તેની પણ વિગતો પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી.

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દાયાની તેમજ કૃષિ-સહકાર, અન્ન-નાગરિક પુરવઠો, સિંચાઇ, માર્ગ-મકાન, શહેરી વિકાસ તથા GSDMA, NDRFના વરિષ્ઠ સચિવો-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *