કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે લમ્પી વાયરસ અસરગ્રસ્ત પશુઓની યોગ્ય રીતે કાળજી લેવાય તે માટે જામનગરની ગૌશાળાઓની મુલાકાત લીધી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : 

રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા લમ્પી વાયરસ અસરગ્રસ્ત પશુઓની યોગ્ય રીતે કાળજી લેવામાં આવે તે માટે જામનગરના દરેડ ગામે આવેલ માં ગૌદર્શન ગૌશાળાની તેમજ વિભાપર ગામે આવેલ વચ્છરાજ ગૌશાળાની મુલાકાત લીધી હતી.

મંત્રી રાઘવજી પટેલે આ મુલાકાત દરમિયાન ગૌશાળાના માલિકોને તેમજ પશુપાલન વિભાગને ગૌધનના રહેઠાણની યોગ્ય રીતે સાફ સફાઇ કરવામાં આવે, દવાઓનો છંટકાવ કરવામાં આવે તેમજ લમ્પી વાયરસથી અસરગ્રસ્ત પશુઓને અલગ રાખવામાં આવે જેથી કરીને અન્ય પશુઓને તેનો ચેપ ન લાગે તે અંગેના સૂચનો કર્યા હતા.

ઉપરાંત જામનગર જિલ્લાના ગૌધનમાં વેકસીનેશન અંગેની કામગીરી, પશુ એમ્બ્યુલન્સ મારફતે પૂરી પાડવામાં આવતી સુવિધાઓ, પશુઓને આપવામાં આવતા ખોરાક,ગૌશાળાઓમાં સ્વચ્છતા, દવાઓના છંટકાવ વગરેનું નિરીક્ષણ કર્યું હતું.

મંત્રીએ કરેલ ગૌશાળાની મુલાકાત દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મૂંગરા, પશુપાલન વિભાગના ડોકટરઓ, નોડલ ઓફિસર, નાયબ મ્યુનિસિપલ કમિશનર  વસ્તાણી તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.