ખેડૂત અકસ્માત વીમા યોજનાના લાભાર્થીઓને કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા ચેક વિતરણ કરાયા

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર જિલ્લાના લોઠીયા તથા સચાણા ગામે કૃષિ, પશુપાલન તથા ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ખેડૂત અકસ્માત વીમા યોજનાના લાભાર્થીઓનો ચેક વિતરણ સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ યાર્ડ દ્વારા પ્રીમિયમ ભરી જામનગર તાલુકાના ખેડૂતોને વિનામૂલ્ય આકસ્મિક વીમા કવચ પૂરું પાડવામાં આવે છે. જામનગર માર્કેટિંગ યાર્ડ એ રાજ્યનું અગ્રગણ્ય યાર્ડ છે જે તેના નફામાંથી ખેડૂતો માટે અનેક રાહતની યોજનાઓ અમલમાં મૂકી શ્રેષ્ઠ કામગીરી ફરી રહ્યું છે.જામનગર યાર્ડ દ્વારા ખરો તોલ, સાચો ભાવ અને ખુલ્લી હરાજી જેવી ખેડૂત હીત લક્ષી વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. મંત્રી એ આ તકે હાજર ખેડૂતોને પોતાની જણસ નું અન્ય સ્થળે વેચાણ ન કરતા તેને જામનગર માર્કેટિંગ યાર્ડ ખાતે વહેચવા પણ અપીલ કરી હતી તેમજ ખેડૂતોને પરંપરાગત ખેતીમાંથી બહાર આવી મધમાખી ઉછેર, બાગાયતી પાકો તથા પશુપાલન તરફ વળવા પણ આહવાન કર્યું હતું.મંત્રી એ વધુમાં ઉમેર્યું હતું કે પાક ધિરાણ, ટેકાના ભાવ, પૂરતા ભાવે જણસની ખરીદી, વ્યાજ રાહત, સાત પગલાં ખેડૂત કલ્યાણના જેવા અનેક માધ્યમોથી ખેડૂતને સમૃદ્ધ કરવાની દિશામાં સરકાર કામગીરી કરી રહી છે. આ તકે મંત્રી ના વરદ હસ્તે આકસ્મિક અવસાન પામેલ લોઠિયા તથા સચાણાના ખેડૂતોના પરિવારજનોને વિમાનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા જિલ્લાના તમામ ખાતેદાર ખેડૂતોનું અકસ્મિક વીમાનું પ્રીમિયમ દર વર્ષે ચૂકવવામાં આવે છે જેમાં તાલુકાના આશરે સવા લાખ જેટલા ખેડૂતોને આ વ્યવસ્થાનો લાભ મળે છે જ્યારે આ માટે અંદાજે રૂપિયા 55 લાખ જેટલી રકમનું પ્રીમિયમ યાર્ડ દ્વારા ચુકવવામાં આવે છે.

આ પ્રસંગે માર્કેટીંગ યાર્ડ જામનગરના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, વાઇસ ચેરમેન જમનભાઈ, ડાયરેક્ટર ઘનશ્યામસિંહ તથા ધીરુભાઈ કારિયા, મુકુંદભાઈ સભાયા, કુમારપાલસિંહ રાણા, મહેન્દ્રસિંહ જાડેજા, ગીરીરાજસિંહ જાડેજા, સરપંચ ભગવાનજીભાઈ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.