જામનગરના આંગણે જાજરમાન ઉત્સવ, ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થવા કલેક્ટર દ્વારા નિમંત્રણ

ગુજરાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

આગામી તારીખ 1 મે ના રોજ રાજ્યના સ્થાપના દિન અંતર્ગત ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જામનગર ખાતે યોજાનાર છે. જેમાં જામનગરને વિવિધ વિકાસ કાર્યોની ભેટ મળશે સાથે સાથે શસ્ત્ર પ્રદર્શન, પોલીસ પરેડ અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરાયું છે.

જામનગર ખાતે યોજાનાર આ ગૌરવમયી ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થવા જિલ્લા કલેકટર બી.એ.શાહે જામનગરની સમગ્ર જનતાને નિમંત્રણ પાઠવ્યું છે.

કાર્યક્રમ અંતર્ગત આગામી તારીખ પહેલી મે ના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સવારે 10:00 કલાકથી સત્યસાંઈ વિદ્યાલય ગ્રાઉન્ડ ખાતે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે. ત્યારબાદ સવારે ૧૧:૩૦ કલાકથી યોજાનાર શસ્ત્ર પ્રદર્શનમાં સરકાર દ્વારા વસાવવામાં આવેલ અદ્યતન તેમજ પુરાતન શસ્ત્રોનું નિદર્શન કરવામાં આવશે.

ત્યારબાદ જિલ્લા પંચાયત ચોક ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમાનું મુખ્યમંત્રીના વરદ હસ્તે સવારે ૧૧:૪૫ કલાકે અનાવરણ કરવામાં આવશે. સાંજે ૫:૩૦ કલાકે ટાઉન હોલથી પ્રદર્શન ગ્રાઉન્ડ સુધીની પોલીસ પરેડ યોજાશે અને સાંજે 7 કલાકે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ તમામ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લઈ ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીમાં સહભાગી બનવા જિલ્લા કલેક્ટરદ્વારા આહવાન કરાયું છે.