જામનગરમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ‘રોજગાર ભરતી મેળા’ નું આયોજન કરાયું

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

‘ગુજરાત ગૌરવ દિન’ ની ઉજવણી અંતર્ગત જામનગરમાં મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી ખાતે ‘રોજગાર દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી. જેના નિમિત્તે, જામનગર જિલ્લાના દિવ્યાંગો માટે ‘મેગા જોબફેર’ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મદદનીશ નિયામક (રોજગાર) કું. સરોજ સાંડપા દ્વારા રોજગાર વાંછુ ઉમેદવારોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉમેદવારોને સ્વરોજગાર, રોજગાર રજીસ્ટ્રેશન અને અનુબંધમ પોર્ટલ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સમાજ સુરક્ષા અધિકારી મહેન્દ્ર પટેલ દ્વારા દિવ્યાંગો માટેની સરકાર દ્વારા ચાલતા યોજનાઓ અને લાભો વિષે માહિતી આપવામાં આવી હતી. અમદાવાદ રાષ્ટ્રીય કારકિર્દી કેન્દ્રના વ્યવસાયિક અનુદેશક અમિત આર. ઠાકર (આર. એફ. એમ.) દ્વારા રાષ્ટ્રીય કારકિર્દી સેવા (એન. સી. એસ.) ફોર દિવ્યાંગ અને સ્કીલ વિષે ઉમેદવારોને સરળ ભાષામાં જાણકારી આપવામાં આવી હતી.

ઉપરોક્ત, દિવ્યાંગ ભરતી મેળામાં 11 જેટલા ખાનગી એકમોના નોકરીદાતાઓ ઉપસ્થિત રહયા હતા. તેમાં કુલ 77 જેટલા દિવ્યાંગ રોજગાર વાંચ્છું ઉમેદવારોનો સ્થળ પર જ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે 22 જેટલા દિવ્યાંગ ઉમેદવારોની પ્રાથમિક ધોરણે પસંદગી કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં પધારેલા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયા બાદ તેમનું પુસ્તક વડે સ્વાગત કરાયું હતું. જુનિયર રોજગાર અધિકારી કું.ભારતી ગોજીયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા માટે અમદાવાદ નેશનલ કેરિયર સેન્ટર ફોર દિવ્યાંગ રાકેશ પટેલ (રીજીયોનલ મેનેજર જી. આઇ. ડી. સી. જામનગર) અને જામનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ઉદ્યોગ અધિકારી શોભનાબેન રાઠોડ, પવનભાઇ ગઢવી, પ્લેસમેન્ટ ઓફિસર વિરેન્દ્રસિંહ વાઢેર અને જિલ્લા રોજગાર કચેરીના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. તેમ મદદનીશ નિયામક(રોજગાર) કું. સરોજ સાંડપા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.