જામનગર એસ.ટી. વિભાગ દ્વારા ‘એપ્રેન્ટિસ ભરતી સત્ર’ નું આયોજન કરાશે

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, જામનગર વિભાગની એપ્રેન્ટિસની મંજૂરી માટે જામનગર વિભાગ હેઠળની વિભાગીય કચેરી, વિભાગીય યંત્રાલય, વિભાગીય સ્ટોર્સ- જામનગર અને જામનગર/ જામજોધપુર/ ખંભાળિયા/ દ્વારકા/ધ્રોલ ડેપો ખાતે એપ્રેન્ટિસ એક્ટ-1961 અન્વયે એપ્રેન્ટિસ ભરતી સત્ર માટે એપ્રેન્ટિસ ફીટર, ટર્નર, ઈલેક્ટ્રીશિયન, વેલ્ડર, મોટર મિકેનિક, ડીઝલ મિકેનિક, અન. કોપા ટ્રેડ હેઠળના આઈ.ટી.આઈ. પાસ ઉમેદવારોની એપ્રેન્ટિસ તરીકે ભરતી કરવામાં આવશે.

તેથી ભાગ લેવા માટે ઈચ્છુક ઉમેદવારોએ apprenticeshipindia.org આ પોર્ટલ પર જઈને આધારકાર્ડ ફરજીયાતપણે વેરિફાઇડ કરાવીને અને એસ.બી.આઈ. બેન્કના ખાતાની વિગતો ઉમેરીને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ ઓનલાઇન અરજીની પ્રિન્ટ નકલ સાથે શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાઓ, ધો. 10 અને 12 પાસની નકલ, આઈ.ટી.આઈ પાસની નકલ, લિવિંગ સર્ટિફિકેટ, આધારકાર્ડ અને જાતિના પ્રમાણપત્રની 2 નકલો સાથે જોડીને આગામી તા. 7 ઓગસ્ટ સુધીમાં તેમના અરજી પત્રકો મેળવી લેવાના રહેશે.

તેમજ, આગામી તા. 7 ઓગસ્ટ સુધીમાં અરજી પત્રકો સહિત તમામ અસલ માર્કશીટ/ પ્રમાણપત્રોની રૂબરૂ ચકાસણી કરવવાની રહેશે. આ રૂબરૂ ચકાસણીમાં યોગ્ય રહેલ અરજી પત્રકો જ સ્વીકારવામાં આવશે. આ માટે, વધુ માહિતી મેળવવા માટે વહીવટી શાખા, વિભાગીય નિયામકની કચેરી, જામનગર વિભાગ, કાલાવડ નાકા બહાર, જામનગર ખાતે રૂબરૂ સંપર્ક સાધી શકાશે. તેમ વિભાગીય નિયામક, એસ.ટી. વિભાગ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.