જામનગર જિલ્લાને ટીબી મુક્ત કરવા જિલ્લા પંચાયતમાં ટીબી મુક્ત પંચાયત વર્કશોપ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા તથા જિલ્લા વિકાસ અધિકારીવિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને સભાખંડમાં ટીબી મુક્ત પંચાયત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નર દ્વારા ટીબી મુક્ત પંચાયતની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

જિલ્લાને ટીબી મુક્ત કરવાના હેતુસર યોજાયેલ આ વર્કશોપમાં ટીબીના દર્દીઓને વહેલાસર શોધવા, ટીબીના દર્દીઓ ટીબીની દવાનો કોર્સ પુર્ણ કરે તેની તકેદારી રાખવી,સમાજમાંથી ટીબીની ગેરમાન્યતઓ દુર કરવી,ટીબી નાબુદ કરવા માટે જન સમુદાયની ભાગીદારી વધારવી,ટીબીના દર્દીને ન્યુટ્રીશન સપોર્ટ આપવા માટે નીક્ષય મિત્ર બનાવવા વગેરે મુદે વિસ્તૃત ચર્ચાઓ કરવામા આવી હતી, જેમાં સરપંચઓ, ગ્રામ પંચાયતના સભ્યઓ, જનપ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો, તલાટી મંત્રીઓ, ધાર્મિક નેતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, મંડળો વગેરેને પણ સાથે લઈ ટીબી નાબુદી અંગે કામ કરવા પર ભાર મુકાયો હતો. આ વર્કશોપમાં વિશ્વ ક્ષય દિવસ એટલે કે ૨૪ માર્ચ-૨૦૨૩ ના દિવસે વડાપ્રધાનદ્વારા ‘THE TB મુક્ત પંચાયત પહેલ’ શરૂ કરવામાં આવેલ છે જે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આરોગ્ય તંત્રના સક્રિય પ્રયાસોને કારણે જામનગર જિલ્લામાં ટીબીના કેસોમાં ૪૦% નો જેટલો ઘટાડો નોંધાયો છે.જે માટે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ દ્વારા જામનગર જિલ્લાને રાષ્ટ્રિય કક્ષાનો સિલ્વર મેડલ અવોર્ડ પણ એનાયત કરાયેલ છે અને આ સિલ્વર મેડલ હાંસલ કરનાર ગુજરાત રાજ્યના ૩ જિલ્લામાં જામનગર જિલ્લાનો પણ સમાવેશ થયો છે. પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અંતર્ગત જામનગર જિલ્લામાં ન્યારા એનર્જી લી. દ્વારા ટીબીના દર્દીને પોષણયુક્ત આહાર માટેની કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ વર્કશોપમાં તમામ સમિતિઓના ચેરમેનઓ અને સદસ્યઓ, તમામ તાલુકા હેલ્થ ઓફિસરઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.