જામનગરમાં ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ‘મહિલા કર્મયોગી દિવસ’ની ઉજવણી કરવામાં આવી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

મહિલા અને બાળ વિકાસ વિભાગ, જામનગર દ્વારા “નારી વંદન ઉત્સવ” ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં દરરોજ અલગ-અલગ થીમ પર ઉજવણી કરવામાં આવે છે. ગત તા. ૦૫ ઓગસ્ટના રોજ ‘મહિલા કર્મયોગી દિવસ’ ની ઉજવણી જામનગર જિલ્લાના વસઈ ગામ ખાતે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ‘મહિલા કર્મયોગી દિવસ’ ની થીમ પર આધારિત નાટક બહેનો દ્વારા રજુ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીસોનલબેન વર્ણાગર દ્વારા સ્વાન સ્વીટ્સ પ્રા.લી. કંપનીમાં કાર્યરત મહિલાઓને “કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩” ની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ પારિવારિક જીવન અને કામકાજ વચ્ચે સંતુલન જાળવવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત આંગણવાડીમાંથી મળતા પોષણયુક્ત આહાર (THR) વિષે જિલ્લા પંચાયતના I.C.D.S. શાખાના પ્રોગ્રામ ઓફિસર બીનલબેન સુથાર દ્વારા મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વસઈ ગામના સરપંચ ઘનશ્યામસિંહ, સ્વાન કંપનીના મેનેજર બીમલભાઈ વોરા તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમ, મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.