જામનગર આરોગ્ય વિભાગની ટીમની મહેનતથી મધ્યપ્રદેશના બાળકને મળ્યું આરોગ્ય કવચ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર જીલ્લાના ધૂડસીયા વાડી વિસ્તારમાં રહેતા મનસુખભાઈ ભંડેરીની વાડીમાં મૂળ મધ્યપ્રદેશના પ્રકાશભાઈ નીંગવાલ મજુરી કામ કરવા જામનગર આવ્યા હતા. જેના ૧૮ મહિનાના બાળક અસ્મિતા પ્રકાશ નીંગવાલનું રસીકરણ કરાવ્યું ન હતું. તેથી જામવંથલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ બાળકનું રસીકરણ કરવા ગયેલ તો માતા-પિતાએ જણાવ્યું હતું કે અમારા બાળકને રસી આપવી નથી. રસીકરણ કરવાથી બાળક બીમાર પડે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા સતત ૫ વખત તેમની મુલાકાત કરવામાં આવી પરંતુ માતાપિતાને રસીકરણ અંગે ગેરમાન્યતા હતી.

બાદમાં જીલ્લા આર.સી.એચ.ઓ ડો.નુપુર પ્રસાદ અને ડી.એચ.એસ વિજયભાઈ જોશી દ્વારા પરિવારની મુલાકાત કરવામાં આવી અને તેઓને રસીકરણનું મહત્વ અને તેના ફાયદા વિષે સમજણ આપતા જણાવ્યું હતું કે, બાળકને કઈ રસી લેવાની છે, રસી કયા રોગ સામે રક્ષણ આપશે, રસીનું મહત્વ સમજાવામાં આવ્યું , તેની આડ અસર વિષે માહિતી આપવામાં આવી, અને જો રસીકરણ કરવામાં ન આવે તો બાળકને શું ગેરલાભ થશે તે વિશે ખુબ ગંભીરતાથી સમજાવામાં આવ્યું. બાદમાં પરિવારને વાત સમજાઈ તેની ગેરમાન્યતા દુર થઈ અને બાળકને મીઝલ્સ રૂબેલા, ડી.પી.ટી, ઓ.પી.વી અને વીટામીન-A સીરપ આપવામાં આવ્યું હતું.

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયાના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા બાળકનું રસીકરણ કરવામાં આવતા માતાપિતા અને વાડી માલિક દ્વારા જીલ્લા આર.સી.એચ.ઓ અને આરોગ્યની SBCC ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.