ખોડલધામનો વધુ એક પ્રકલ્પ : 21 જાન્યુઆરીએ સર્વ સમાજ માટે નિર્માણ થનાર કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, રાજકોટ :

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ જ્યારથી સંગઠન અને સમાજસેવાના હેતુસહ સ્થાપિત થયું ત્યારથી સર્વ સમાજ માટે નવા નવા આયામો અને પ્રકલ્પો સાથે સમાજ વચ્ચે રહી સમાજ સેવાનું કામ કરે છે. ત્યારે 21મી જાન્યુઆરી એટલે ખોડલધામ પરિવાર માટે સેવાના માધ્યમથી એકતા અને સંગઠનના દર્શન કરાવવાનો ગૌરવવંતો દિવસ. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના આદરણીય ચેરમેનનરેશભાઈ પટેલે જાહેર કરેલા ત્રણ મુખ્ય પ્રકલ્પ શિક્ષણ, આરોગ્ય અને કૃષિ.. જે અંતર્ગત આગામી તારીખ 21 જાન્યુઆરી 2024ના રોજ રાજકોટ નજીકના અમરેલી ગામ મુકામે સર્વ સમાજ માટેનું એક આરોગ્ય ધામ એટલે કે અત્યાધુનિક કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન સમારોહનું આયોજન કરાયું છે.

21 જાન્યુઆરી, 2024ના રોજ અમરેલી ગામે નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન સાત દીકરીઓના વરદ હસ્તે કરવામાં આવશે. આ ભૂમિપૂજન સમારોહ ખોડલધામ મંદિરેથી વર્ચ્યૂઅલી સવારે 7.00 કલાકથી કરવામાં આવશે. જાહેર કાર્યક્રમ અને સ્ટેજ કાર્યક્રમ ખોડલધામ મંદિર કાગવડ ખાતે સવારે 9.30 થી બપોરના 11.30 સુધી રહેશે.

કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવા નરેશભાઈ પટેલ 17 ડિસેમ્બરથી ગુજરાત -મહારાષ્ટ્રના પ્રવાસનો શુભારંભ કરશે

આ પ્રકલ્પને સાર્થક બનાવવા માટેનો સંદેશ અને માહિતી ઘર-ઘર સુધી પહોંચે અને દાતાઓને કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવાના શુભ આશયથી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ આગામી તારીખ 17 ડિસેમ્બર 2023ના રોજ દેવાધિ દેવ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રવાસની શરૂઆત કરશે અને 6 જાન્યુઆરી સુધી આ પ્રવાસ ચાલશે. આ પ્રવાસ દરમિયાન નરેશભાઈ પટેલ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ સ્થળોની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન નરેશભાઈ પટેલ સમસ્ત ગુજરાત અને ગુજરાત બહાર વસતા ખોડલધામ પરિવારના તમામ ભાઈઓ-બહેનોને રૂબરૂ મળીને આ કેન્સર હોસ્પિટલના પ્રકલ્પ અંગે માહિતગાર કરશે અને દાતાઓને કેન્સર હોસ્પિટલમાં ભૂમિદાન કરી આ સેવાકીય કાર્યમાં જોડાવા આહ્વાન કરશે.