જામનગરના મનપાના પદાધિકારી ગાંધીનગરમાં પ્રિ-વાઇબ્રન્ટ સમિટમાં…

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

ગુજરાત સરકાર ના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે પ્રિ- વાઇબ્રન્ટ સમિટ-2023 Livable cities of tomorrow વિષય અંતર્ગત આવનારા સમયમાં આપણું શહેર કેવું અને કઇ કઇ સુવિધાઓથી પરિપૂર્ણ હોવુ જોઇએ તેને લગત જુદા જુદા દેશો, મહાનગરપાલિકા, સંસ્થાઓ, વિભાગો ના ટેકનિકલ એક્સપર્ટ, કમિશ્નર તથા અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રિ -વાઇબ્રન્ટ સમિટમાં જામનગર મહાનગરપાલિકા તથા અન્ય મહાનગરપાલિકા, સંસ્થાઓ, વિભાગો દ્વારા પ્રશંસનીય હોય તેવા મુખ્ય વિકાસના કામો સમિટ ના માધ્યમથી ડિસ્પ્લે કરવામાં આવ્યા હતા.

આ સમિટમાં મહાનગરપાલિકાના માન.મેયર, માન. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, તથા માન. કમિશનર અને જુદા જુદા વિભાગના 15 – જુનિયર એન્જિનિયરો ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરના વિવિધ વિકાસ કાર્યોના મોડેલ સાથે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રી- વાઇબ્રન્ટ ગુજરાત સમિટ – 2023માં જામનગરનું પ્રતિનિધિત્વ કરવા જામનગર મહાનગરપાલિકા મેયર ,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા કમિશનર અને સિવિલ શાખાના એન્જિનિયરો ઉપસ્થિત રહ્યા હતા, જામનગરના વિવિધ વિકાસ મોડેલ અંતર્ગત ₹1,000 કરોડની ગ્રાન્ટની આ સમિટ અંતર્ગત માંગ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રનો મહત્વનો અને સૌથી લાંબો ફ્લાય ઓવરબ્રિજ જે જામનગરમાં બની રહ્યો હોય, તેમજ શહેરની હેરિટેજ ઇમારતોનું રીસ્ટોરેશન કાર્ય કરવામાં આવ્યું છે.

આગામી સમયમાં રૂપિયા ₹600 કરોડના ખર્ચે નાગમતી- રંગમતી નદી પર રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર છે, જામનગર મનપાના સંકુલમાં જનરલ બોર્ડના નવા બિલ્ડીંગનું બાંધકામ પણ પ્રગતિ હેઠળ છે , સહિતની બાબતોનો પ્રિ- વાઇબ્રન્ટ સમિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

અહીં જામનગર મહાનગર પાલિકાનો સ્ટોલ રાખવામાં આવ્યો હતો. જેની બહોળા પ્રમાણમાં પ્રિ-વાઇબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત લોકોએ મુલાકાત લીધી હતી. આ પ્રિ -વાઇબ્રન્ટ સમિટ માં શહેર મેયર વિનોદભાઈ ખીમસુરીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, મનપાના કમિશનર ડી. એન. મોદી, પ્રિ- વાઇબ્રન્ટ સમિટ 2023ના નોડલ ઓફિસર હરેશભાઈ વાણીયા, જામનગર મહાનગરપાલિકાની જુદી જુદી શાખાના એન્જિનિયરો ઉપસ્થિત રહ્યા હતા.