જામનગરમાં લોહાણા અગ્રણીઓનું પરિમલભાઈ નથવાણી ની ઉપસ્થિતિમાં સંમેલન મળ્યું, લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરવા આહવાન

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

હાલાર પંથકથી જાણીતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના રઘુવંશી સમાજની સંસ્થાઓના હોદ્દેદારો અને જ્ઞાતિ અગ્રણીઓના જામનગરમાં મંગળવારે મળેલા વિશાળ સ્નેહ મિલનમાં ઉમટી પડેલા લોહાણા જ્ઞાતિજનોને ઉદ્દબોધન કરતાં સમારંભના અધ્યક્ષ રાજયસભાના સાંસદ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેકટર પરિમલભાઈ નથવાણીએ આગામી તા.૭ ના રોજ લોકસભા ચૂંટણીના લોકશાહી પર્વના દિવસે વધુમાં વધુ મતદાન કરી રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું.

જામનગર શહેરમાં ઓશવાળ સેન્ટરના બેન્કવેટ હોલમાં હાલાર રધુવંશી મિત્ર મંડળના નેજા હેઠળ જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાની લોહાણા જ્ઞાતિની સંસ્થાઓના હોદ્દેદારો- ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને લોહાણા અગ્રણીઓનું મંગળવારે એક સ્નેહમિલન યોજાયું હતું.

આ સમારોહમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલા રાજયસભાના સાંસદ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેકટર પરિમલભાઈ નથવાણીએ લાગણીભીના શબ્દોમાં જન્મ સ્થળ ખંભાળીયા અને કર્મભૂમિ જામનગર સાથેના વર્ષો જુના સંબધોની સ્મૃતિ વાગોળતાં કહયું હતું કે, લોહાણા સમાજના દિકરા તરીકે આજે હું જે કંઈ છું તેનો મને આનંદ અને ગૌરવ છે.

આ તકે પરીમલભાઈ નથવાણીએ વધુમાં કહયું હતું કે, ચૂંટણી એ લોકશાહીનું મહાપર્વ છે અને દરેક મતદાતાએ પોતાના મતાધિકારોનો અચૂક ઉપયોગ કરી આ પર્વની ઉજવણીમાં સહભાગી બની રાષ્ટ્રહિતમાં યોગદાન આપવું જરૂરી છે. દેશના વડાપ્રધાન અને તે પૂર્વે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જવાબદારી વહન કરનારા નરેન્દ્રભાઈ મોદીએ પહેલા ગુજરાતને અને હવે સમગ્ર દેશને વિશ્વભરમાં ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે ત્યારે આપણે સૌએ તેઓના રાષ્ટ્ર વિકાસના મહાયજ્ઞમાં આહુતી આપીને દેશહિત માટે ફરજ બજાવવાની છે. હાલાર પંથકમાં તા.૭ ના રોજ લોકસભા ચૂંટણીના મતદાનના દિવસે દરેક રધુવંશી આ ફરજ બજાવે તેવો અનુરોધ તેઓએ કર્યો હતો.

લોહાણા જ્ઞાતિના આ સ્નેહ મિલન સમારંભમાં વિશેષ ઉપસ્થિત રહેલા લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે પ્રાસંગીક પ્રવનચનમાં કહયું હતું કે, આપણાં રધુવંશી ભગવાન શ્રીરામના વંશજ છીએ. અયોધ્યામાં રામજન્મ સ્થળ પર આપણા ઈષ્ટદેવ શ્રીરામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ અભૂતપૂર્વ ઘટના દરેક રધુવંશી માટે વધુ ગૌરવરૂપ છે. આ ઐતિહાસીક કાર્ય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ થયું છે અને માત્ર અયોધ્યા જ નહીં પરંતુ કાશી- મથુરા – સોમનાથ-દ્વારિકા જેવા વિવિધ વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામોનો વિકાસ નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં કેન્દ્રની સરકાર કરી રહી છે તેવા સમયે આપણે સૌ સનાતની ધર્મીઓની ફરજ બને છે કે આપણે પણ રાષ્ટ્ર હિતમાં અને વિકાસમાં મતદાન કરીને આપણું યોગદાન અર્પણ કરીએ.

હાલારના રઘુવંશી સમાજને વિશેષ અપીલ કરતાં જીતુભાઈ લાલે કહ્યું હતું કે, લોકસભા ચૂંટણીના મતદાનના દિવસે આગામી તા.૭ ના રોજ સવારથી બપોર સુધીમાં તમામ રઘુવંશી પરિવારોનું મતદાન કરીને આપણે આપણી શક્તિનો પરિચય આપીશું તો તે ચોકકસ નોંધપાત્ર બની રહેશે.

આ સમારોહમાં સ્વાગત પ્રવચન બારાડી લોહાણા મહાજનના પ્રમુખ દ્વારકાદાસભાઈ રાયચુરા (મોટાભાઈ) એ કરતાં કહયું હતું કે, પરિમલભાઈ નથવાણી માત્ર રઘુવંશી સમાજનું ગૌરવ નહીં પણ હાલારના હીરલા તરીકે આજે પ્રસ્થાપીત થયા છે ત્યારે તેમની ઉપસ્થિતીમાં આ સંમેલનમાં આપણે સૌ લોકશાહી પર્વની ઉજવણીમાં સહભાગી બનવાનો વિશ્વાસ આપીએ છીએ.

આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને ઉપસ્થિત પરિમલ નથવાણી તેમજ વિશેષ ઉપસ્થિત રહેલા જીતુભાઈ લાલનું જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાની લોહાણા જ્ઞાતિની વિવિધ સંસ્થાઓના આગેવાનોએ પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું.

આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને પરિમલભાઈ નથવાણી અને અતિથિ વિશેષ જીતુભાઈ લાલ સાથે મંચ પર બારાડી લોહાણા મહાજનના પ્રમુખ દ્વારકાદાસભાઈ રાયચુરા (મોટાભાઈ), જામનગર લોહાણા મહાજનના વડીલ સમિતિના સભ્ય ધારાશાસ્ત્રી નટુભાઈ બદિયાણી, સમસ્ત હાલાર લોહાણા સમાજના ઉપપ્રમુખ અરવિંદભાઈ પાબારી, તુલસીભાઈ ભાયાણી, મૌલીકભાઈ નથવાણી, મહામંત્રી રમેશભાઈ દતાણી, ખજાનચી નિર્મલભાઈ સામાણી, મંત્રી ભાવીનભાઈ અનડકટ, સંગઠન મંત્રી ગિરીશભાઈ ગણાત્રા, ઓડીટર બાબુભાઈ બદિયાણી, ગોવા શીપ યાર્ડના ડાયરેકટર હસમુખભાઈ હિંડોચા, નેશનલ શીપીંગ બોર્ડના સભ્ય રાહુલભાઈ મોદી, ખંભાળીયા નગરપાલીકાના પ્રમુખ શ્રીમતી રચનાબેન મોટાણી, ખંભાળીયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન વકીલ મનોજભાઈ અનડકટ, જામનગર મહાનગરપાલીકાના કોર્પોરેટરો પન્નાબેન કટારીયા, કુસુમબેન ચોટાઈ (પંડયા) આ ઉપરાંત હાલાર પંથકના લોહાણા મહાજનો, યુવક મંડળો, કર્મચારી મંડળો, સોશ્યલ ગ્રુપો, મહિલા મંડળો તથા મીડીયા ક્ષેત્રમાં રહેલા જ્ઞાતિના પ્રતિનીધીઓ અને વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો-આગેવાનો વિગેરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં.

આ કાર્યક્રમમાં આભારદર્શન રમેશભાઈ દત્તાણીએ અને સંચાલન ગિરીશભાઈ ગણાત્રા, વિરલ રાચ્છ અને હિતુલ કારીયાએ કર્યું હતું.