મોડપરમાં રિલાયન્સ દ્વારા નવનિર્મિત મંગળેશ્વર મહાદેવ મંદિરનું લોકાર્પણ

ધર્મ-આધ્યાત્મિક સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામના સમસ્ત ગ્રામજનો અને ગ્રામ પંચાયતની વિનંતિ સ્વીકારીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ મંગળેશ્વર મહાદેવના ભવ્ય નવનિર્મિત મંદિરનું બાંધકામ પૂર્ણ કરી તેનું લોકાર્પણ કરાયું છે.

ચાલુ વર્ષે જાન્યુઆરી માસમાં થયેલા શિલાન્યાસ સમારંભથી લઈને તાજેતરમાં થયેલાં હસ્તાંતરણ સુધીની સંપૂર્ણ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉત્સાહભરી હાજરી અને સક્રિય સહભાગિતાથી આ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રયોજનને વિશેષ મહત્તા પ્રાપ્ત થઈ છે. પરંપરાગત ધાર્મિક વિધિઓ વચ્ચે યોજાયેલા હસ્તાંતરણ સમારંભમાં નવા મંદિરને સત્તાવાર રીતે ગ્રામ પંચાયત અને ગ્રામજનોને અર્પણ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, પુન: પ્રભુ પધરામણી પ્રસંગે ગામના અગિયાર દંપત્તિઓ વિધિવત પરંપરા મુજબની તમામ ધાર્મિક વિધીઓમાં જોડાયાં હતાં અને ગામ સમસ્ત દ્વારા સમૂહ ભોજન-પ્રસાદ લઈને કાર્યક્રમને યાદગાર બનાવી સંપ અને સહકારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

નવા મંગળેશ્વર મહાદેવ મંદિરનું સ્થાપત્ય સુંદરતાસભર અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે. શાંત, પવિત્ર અને આધ્યાત્મિક વાતાવરણ ધરાવતું આ મંદિર આગામી સમયમાં પૂજા, ધાર્મિક પ્રસંગો અને સાંસ્કૃતિક મેળાવડાઓ માટે ગામનું મહત્વનું કેન્દ્ર બનશે. આ પ્રયાસ દ્વારા ગામમાં સામાજિક એકતા અને સંવાદિતાને વધુ મજબૂતી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

રિલાયન્સ દ્વારા મોડપર ગામના ધાર્મિક અને સામાજિક વિકાસ માટે કરવામાં આવેલી આ સેવા કામગીરીને ગ્રામજનોએ હર્ષભેર આવકારી હતી.

સામાજીક ઉત્તરદાયિત્વના ભાગ રૂપે રીફાઈનરીની આસપાસનાં ગામોમાં નિરંતર ચાલતી મહિલા સશક્તિકરણ , શિક્ષણ, આરોગ્ય, સ્વરોજગાર, પશુ સારવાર, રમત ગમત, યુવા વિકાસ સહિતની પ્રવૃત્તિઓનું આ વિસ્તારના સર્વાંગી વિકાસમાં નોંધપાત્ર યોગદાન છે. સમાજના પ્રત્યેક વર્ગના લોકોને ઉપયોગી થાય તે પ્રકારની અનેકવિધ પ્રવૃત્તિઓનાં સતત આયોજન થકી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગ્રામિણ ઉત્કર્ષને વેગવાન બનાવવામાં યથોચિત ફાળો આપી રહી છે જેને વ્યાપક લોક આવકાર પ્રાપ્ત થઈ રહ્યો છે.