જામનગર આવી પહોંચેલા આ ગુજરાતી યુવાને લિફ્ટ લઈને શરૂ કરી ભારત ભ્રમણ યાત્રા

દેશ-વિદેશ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

પૈસા હોય તો ગમે ત્યાં જવાય અને ગમે ત્યાં ખવાય પીવાય… પરંતુ મફતમાં ભારત ભ્રમણ કરવું એ કોઈ નાની સુની વાત નથી. અમદાવાદના ગુજરાતી યુવાન મૌલિક ભાટિયાએ મન બનાવી સૌપ્રથમ કોસ્ટલ વિસ્તારના શહેરોમાંથી ભારત ભ્રમણ યાત્રાની 15 ઓગસ્ટ, 2022થી શરૂઆત કરી છે.

કોઈપણ જાતનું પ્લાનિંગ નહીં અને મનમાં દ્રઢ નિર્ણય સાથે જુદા જુદા શહેરો અને જિલ્લાઓની જાત અનુભૂતિ કરવા નીકળેલા મૌલિક ભાટિયા કચ્છ-ભુજના લખપત થઈ 9 દિવસે જામનગર પહોંચ્યા છે. માત્ર એક બેગ તેમાં જરૂરી કપડાં અને ઓઢવા પાથરવા સાથે કેમેરો અને એક ફ્રી કોસ્ટ ભારત ભ્રમણ યાત્રા અને બીજી બાજુ લિફ્ટનું પાટિયું લઈ જ રસ્તા ઉપર નીકળતા લોકોની લિફ્ટ સાથે ભારત ભ્રમણ કરતા જામનગર પહોંચેલા મૌલિક ભાટિયા મૂળ અમદાવાદના વતની છે.

અમદાવાદના મૌલિક ભાટિયા ફિલ્મમેકર અને ફોટોગ્રાફર તરીકે ફ્રીલાન્સ વ્યવસાય કરે છે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલા આ મૌલિક ભાટિયા શોખથી ફોટોગ્રાફી કરતા કરતા વ્યવસાયિક ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા લાગ્યા હતા. તેઓએ અત્યાર સુધીમાં કાર અને ટ્રાવેલ મારફતે ભારતની મોટાભાગની સફર કરી લીધી છે. પરંતુ હવે તેઓ રસ્તે પસાર થતા વટેમાર્ગુઓની લિફ્ટ સાથે વિનામૂલ્ય સફર નો આનંદ માણી રહ્યા છે. અને દરેક જિલ્લા અને રાજ્યોમાં જઈ ત્યાંની સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાથી અવગત થઇ રહ્યા છે.

ફ્રી ભારત ભ્રમણ યાત્રાએ નીકળેલા મૌલિક ભાટિયાએ જણાવ્યું હતું કે, સાથે લિફ્ટ લઈ ફરવાથી તેમના વિચારો અને અનુભવોથી તેઓ વાકેફ થઈ શકે અને ભારતીય કલ્ચર પણ નજીકથી જાણી શકાય તે એક હેતુ છે.

ભારત ભ્રમણ યાત્રાએ નીકળેલા મૂળ ગુજરાતી સૌ પ્રથમ ગુજરાતના સૌરાષ્ટ્રમાં પહોંચ્યા છે અને નવ દિવસે નવા નવા અનુભવો કરતા તેઓ પણ આ યાત્રા થી ખુશ છે. લિફ્ટ સાથે લોકો પણ આ અભિગમને ભારે પ્રતિસાદ આપી રહ્યા છે. અત્યાર સુધીમાં યાત્રા દરમિયાન લોકો પણ રહેવા જમવા અને રસ્તો પસાર કરવા મદદરૂપ થઈ ઝોમ અને જુસ્સો પણ વધારી રહ્યા છે.

સૌપ્રથમ અમદાવાદ થી કચ્છ ભુજના લખપત ખાતે પહોંચેલા મૌલિક ભાટિયાને રેફ્યુજી ફેમિલી સાથે બીએસએફની મદદથી મળવાનું થયું અને ત્યાંના માછીમારોને પણ નજીકથી મળવાનું થયું જ્યાં ના અનુભવો પણ અનેરા હતા. ત્યાંથી નારાયણ સરોવર અને કોટેશ્વર ખાતે જન્માષ્ટમી મહોત્સવમાં પણ ભારત ભ્રમણ દરમિયાન લાવવો મળ્યો તે પણ અકલ્પનીય હતો એવું તેઓએ જણાવ્યું હતું.

કચ્છ ભુજ થી જામનગર પહોંચેલા મૌલિક ભાટીયા એ જામનગરના ફરવા ફરવા લાયક સ્થળ લાખોટા તળાવ, ભુજીયો કોઠો, ખંભાળિયા ગેટ સહિતના ઐતિહાસિક સ્મારકો ઉપરાંત જામનગરમાં આવેલ કૃષ્ણ પ્રણામી ધર્મની મુખ્ય પીઠ શ્રી 5 નવતનપુરીધામ, ખીજડા મંદિર ની મુલાકાત લઈ ધર્મગુરુ 108 શ્રીકૃષ્ણમણીજી મહારાજ પાસેથી ધર્મિક માહિતી પણ મેળવી હતી આ ઉપરાંત વિશ્વવિખ્યાત બાલા હનુમાન મંદિરે પણ ચાલતી અખંડ રામધૂન દરમિયાન જઈને અનેરો અનુભવ મેળવ્યો છે.

જામનગરમાં પહોંચેલા મૌલિક ભાટિયા આગામી બે થી ત્રણ મહિના દરમિયાન ભારતના જુદા જુદા 10 રાજ્યોમાં ફરી લિફ્ટ સાથે ફ્રી ભારત ભ્રમણ યાત્રા કરવા માટે દરરોજ પ્રસ્થાન કરી રહ્યા છે.

કોઈ જ આયોજન નહીં અને સ્થાનિક લોકોને મળતા મળતા સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાને જાણતા યાદી કેમેરે કંડારી દરેક શહેરોની મુલાકાત લેતા લેતા બે જિલ્લાઓ ની સફર કર્યા સુધી મૌલિક ભાટિયાએ દરરોજની અપડેટ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી આગળના ડેસ્ટિનેશન ઉપર પણ જવામાં વધુ સરળતા રહે છે અને ત્યાં પણ લોકો તેમની વ્યવસ્થા માટે અનેરો સાથ સહકાર આપે છે. તેવું તેઓ જણાવી રહ્યા છે.