મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્રોલથી રાજ્યમાં ૩ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટીકલ્ચર અને ૪ પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરના ખાતમુહૂર્ત કર્યા

ગુજરાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : 

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ૩ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટીકલ્ચર તથા ૪ પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરના ઈ- ખાતમુહૂર્ત જામનગરના ધ્રોલ ખાતેથી કર્યા છે. રાજ્યમાં બાગાયતી પાકોની વેલ્યુચેઈન ઊભી કરી ખેડૂતોની આવક વધારવાના આશયથી આ કેન્દ્રોનું નિર્માણ કરવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે.

આ અંતર્ગત અમદાવાદ, જામનગર અને ખેડામાં સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટીકલ્ચર બનશે અને બનાસકાંઠા, કચ્છ, જામનગર, નવસારી અને પંચમહાલ જિલ્લામાં પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટર બનશે.

મુખ્યમંત્રીએ કમલમ ફળનું વાવેતર કરવા માટે સહાય કાર્યક્રમ, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ અને મિશન મધમાખી કાર્યક્રમ એમ કુલ 3 નવી યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ પણ કરાવ્યો છે.

કમલમ ફ્રુટનું વાવેતર કરતા સામાન્ય ખેડૂતોને સહાય કાર્યક્રમ અંતર્ગત મહત્તમ રૂ. ૩ લાખ પ્રતિ હેક્ટર તથા અનુ.જાતિ અને અનુ.જનજાતિના ખેડૂતોને મહત્તમ રૂ. ૪.૫૦ લાખ પ્રતિ હેકટરની સહાય મળશે.

ગુજરાતના ખેડૂત સામૂહિક બહુવર્ષાયુ ફળપાકોના વ્યાપારિક ધોરણે વાવેતર કરે તેમજ આવા ખેડૂતોને શરૂઆતના ઉંચા રોકાણ સામે જરૂરી સહાય પુરી પાડવા કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ અમલમાં મુકવામાં અવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ રાજયના તમામ ખેડૂત, ખેતીલાયક જમીન ધારણ કરેલ રજીસ્ટર્ડ ટ્રસ્ટ, FPO, FPC, સહકારી મંડળીના સભાસદોને લાભ મળશે.

મધમાખીના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે મધમાખી ઉછેર, પ્રોસેસીંગ, પેકેજીંગ, કોલ્ડ રૂમ, બી ક્લિનિક જેવા ઘટકોમાં સહાય આપવા માટે મિશન મધમાખી કાર્યક્રમ શરૂ કરવામાં અવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ FPO, FPC તથા “A” ગ્રેડ સહકારી સંસ્થાઓ દ્વારા આ કાર્યક્રમ હેઠળ ખેડૂત/સભાસદોને ૭૫% સુધી સહાય મળશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૦ વર્ષમાં બાગાયતી પાકોનો વાવેતર વિસ્તાર ૬.૯૨ લાખ હેક્ટરથી વધીને ૧૯.૭૭ લાખ હેક્ટર અને ઉત્પાદન ૬૨.૦૧ લાખ મે.ટન થી વધીને ૨૫૦.૫૨ લાખ મેટ્રિક ટન થયું છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૨૦ વર્ષમાં ૩૫ લાખથી વધુ બાગાયતકારોને વિવિધ બાગાયતી યોજનાઓથી લાભન્વિત કરાયા છે.

તેમણે કહ્યું કે, આજનો કાર્યક્રમ બાગાયત ક્ષેત્રના વિકાસ માટે સીમાચિન્હરૂપ છે. નવા બનનારા ૪ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટીકલ્ચર સહિત રાજ્યભરમાં કુલ ૯ સેન્ટરો કાર્યરત થશે જેનાથી બાગાયતી ખેતી નફાકારક બનશે અને બાગાયત ક્ષેત્રે વધુ માળખાકીય સુવિધાઓ ખેડૂતોને ઉપલબ્ધ થશે. મધમાખી ઉછેર માટે રાજ્યભરમાં રૂ.૧૦ કરોડની ફાળવણી રાજ્ય સરકારે કરી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ રાજ્યની બાગાયતી કૃષિની પરિસ્થિતિનો ચિતાર આપતા સગર્વ જણાવ્યું હતું કે, રાજ્યની કેસર કેરીને જી. આઇ. ટેગ મળ્યું છે, ગુજરાત રાજ્ય ભીંડા અને ચીકુના પાક ઉત્પાદનમાં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે, તે ગુજરાતના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ગૌરવ લેવા જેવી બાબત છે.

આ અંગે વધુ માહિતી આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ચાલુ વર્ષે બાગાયતી કૃષિ માટે રૂ. ૧૦ કરોડની જોગવાઈ કરી છે તથા છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યભરના ૭.૨૬ લાખ લાભાર્થીઓએ સરકારની વિવિધ બાગાયતી યોજનાના લાભો મેળવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા ઈ-નામ (ઈ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ) નો ઉલ્લેખ કરીને ઉમેર્યું હતું કે આ વ્યવસ્થા દ્વારા રાજ્યભરના ખેડૂતો દેશભરના ખેડૂતો સાથે પરસ્પર સંપર્કમાં રહી શકશે જેનાથી તેમને કૃષિ ઉત્પાદનોની મહત્તમ કિંમતો મળી શકશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યભરમાં અમલી બનાવાયેલી ડ્રોન ટેકનોલોજીની વિગતો રજૂ કરતા કહ્યું હતું કે રાજ્યભરમાં ડ્રોન ટેકનોલોજી માટે રૂ. ૩૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે તથા ૧.૪૦ લાખ એકર વિસ્તાર જમીનને આ ટેકનોલોજી અંતર્ગત આવરી લેવામાં આવશે.

ડ્રોન ટેકનોલોજી દ્વારા ખેડૂતો પોતાના ખેતરમાં ખાતર વિતરણ કરી શકશે તથા તેમનો મજૂરી ખર્ચ બચશે એવો આશાવાદ પણ મુખ્યમંત્રી આ પ્રસંગે વ્યક્ત કર્યો હતો. “આત્મનિર્ભર ગુજરાત” થી “આત્મનિર્ભર ભારત” તરફની પ્રગતિમાં આ એક ઉપયોગી પગલું સાબિત થશે, એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જી. એમ. પટેલ હાઇસ્કુલ પરિસરમાં રાખવામાં આવેલા કૃષિ ઉત્પાદનોના સ્ટોલ્સના મુલાકાત લીધી હતી અને બાગાયત કૃષિ કરોને પ્રોત્સાહિત કર્યા હતા. તથા જામનગર જિલ્લાના બાગાયતી વિભાગના લાભાર્થીઓ તથા અન્ય લાભાર્થીઓને રાજ્ય સરકારની યોજનાકીય સહાયનું તથા પ્રમાણપત્રનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ધ્રોલની જી. એમ. પટેલ હાઇસ્કુલના પરિસરમાં બાગાયત પાક પરિસંવાદ, સેન્ટર ઓફ એક્સેલન્સ તથા પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જેનું અમદાવાદ જિલ્લાના મીરોલી, ખેડા જિલ્લાના મહેમદપુરા, ભુજ શહેરના ટાઉનહોલ, પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અને બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેમાં હજારો પ્રગતિશીલ નાગરિકો સહભાગી થયા હતા.

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત થનાર નવીન પ્રકલ્પો અંગે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ખેડૂત થકી ગામડું અને ગામડા થકી સમગ્ર દેશને આત્મનિર્ભર બનાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર કામગીરી કરી રહી છે.ખેડૂત સમૃદ્ધ બને તેમજ ખેડૂતની આવક બમણી થાય તે માટે રાજ્ય સરકાર સૌની યોજના, કૃષિ સાધન સહાય, ખાતર તથા વીજ સબસિડી, ફ્રુટ પ્રોસેસિંગ યુનિટ, મહત્તમ ટેકાના ભાવે જણસની ખરીદી, વિનામૂલ્યે લોન વગેરે જેવી અનેક કૃષિ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી ખેડૂત, ખેતી અને ગામડાને સમૃદ્ધ બનાવવાની દિશામાં સતત આગળ વધી રહી છે.

આ પ્રસંગે રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી તથા પ્રભારી મંત્રી બ્રિજેશભાઈ મેરજા સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ ભરતભાઈ બોરસદિયા, કૃષિ વિભાગ અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરી, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયા, જામનગર શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, જયરામભાઈ વાંસજાળીયા, બાબુભાઇ ઘોડાસરા તેમજ સમગ્ર જામનગર જિલ્લામાંથી બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અન્વયે રાજ્યના અન્ય સંબંધિત જિલ્લાઓમાં આયોજિત સમારોહમાં મંત્રીઓ, પદાધિકારીઓ, સાંસદઓ, ધારાસભ્યઓ ઉપસ્થિત રહ્યા હતાં.