જામનગર કલેક્ટર કચેરી ખાતે ‘જિલ્લા રોડ સેફટી કાઉન્સિલ’ અંગેની બેઠક યોજાઈ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે અધિક નિવાસી કલેકટર બી. એન. ખેરના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા રોડ સેફટી કાઉન્સિલ’ અંગેની બેઠક યોજાઈ હતી. મોટર વાહન અને અન્ય વાહનો દ્વારા થતા માર્ગ અકસ્માતો નિવારવા માટે ક્યા- ક્યા પ્રકારના પગલાં લઈ શકાય તે હેતુથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું હતું કે, જિલ્લાની શાળાઓ અને કોલેજોમાં વિધાર્થીઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓમાં ટ્રાફિકના નિયમો અંગેની જનજાગૃતિ લાવવી, હાઇવે પર ‘બ્લેક સ્પોટ આઇન્ડેટીફીકેશન’ ની કામગીરી, રસ્તા પરથી ભયજનક સ્પીડબ્રેકર્સ અને બેરિકેડ્સ હટાવવા, જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળો પર ચેકીંગની કામગીરી કરવી, માર્ગ અકસ્માતો નિવારવા માટે રોડ સેફટી સર્વે હાથ ધરવા, રોડ રીપેરીંગ કરતી વખતે ડાયવર્ઝન માટેના પાટિયા યોગ્ય સ્થળે મુકાવવા, ભારે વાહનો ચલાવતા વાહનચાલકો માટે ટ્રેનિંગ સેશનનું આયોજન, અકસ્માતોની તપાસ માટે હાઇવે પર સી. સી. ટી. વી. કેમેરા લગાવવા, ઓવર સ્પિડીંગ કરતા વાહનો સામે ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ અપનાવવી, હાઇવે પર સ્પીડબ્રેકર્સ અને સ્પીડ માટેના સાઈન બોર્ડ મુકાવવા સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી. અને વર્ક ઝોન ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન બનાવવમાં આવશે.

જેથી રોડ રીપેરીંગના સમયે અકસ્માતો નિવારી શકાય. જીવલેણ અકસ્માતો અને કુદરતી આફત સર્જાય, ત્યારે તે સમયે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રની કામગીરી મજબૂત કરવા માટે રિપોર્ટિંગ પ્રક્રિયાને મજબૂત કરવામાં આવશે.

ઉપરોક્ત બેઠકમાં, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કે. કે. ઉપાધ્યાય, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર એસ. આર. કટારમલ, કે. બી. છૈયા તેમજ અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.