જામનગરના પુરતત્વીય સંગ્રહાલય ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

ભારતનાં યોગ વિદ્યાનાં સમુદ્ધ વાસરસાને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક વિરાસતમાં સામેલ કરી પ્રતિવર્ષ ૨૧મી જૂનના રોજ ‘વિશ્વ યોગ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ ‘yoga for vasudhaiva kutumbakam’ રાખવામાં આવી છે.

રાજયના રમતગમત, યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત પુરાતત્વ અને સંગ્રહાલય ખાતું, ગુજરાત સરકાર હેઠળ જામનગરના લખોટા તળાવની મધ્યમાં આવેલ પુરાતત્વીય સંગ્રહાલય ખાતે “વિશ્વ યોગ દિવસની ઉજવણી” કરવામાં આવી હતી.

પુરાતત્વીય સંગ્રહાલયના ક્યુરેટર ડો.ધીરજ વાય. ચૌધરી દ્વારા ‘ વિશ્વ યોગ દિવસ’ની ઉજવણીનું મહત્વ સમજાવતા જણાવ્યુ હતું કે, યોગ ભારતની પ્રાચીન પરંપરાની અમૂલ્ય ભેટ છે. તે નિરામય જીવનની કળા અને વિજ્ઞાન છે. સ્વાસ્થય અને જીવનમાં યોગ અને પ્રણાયામના મહત્વને સમજવા માટે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ લોકોને યોગ વિશે જાગૃત કરે છે. યોગ કેવી રીતે તણાવ દુર કરે છે. અને શરીરને ફીટ રાખે છે. તેનું મહતવ સમજાવે છે. સ્થૂળતા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવા હઠીલા રોગોને નિયમિત રીતે યોગ કરવાથી કંટ્રોલ કરી શકાયા છે.

જામનગરની જાહેર જનતાને પ્રસિધ્ધ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગા ટ્રેનર સોનલ હરેશભાઇ ચૌહાણ, ચાંદની અહુજા, ભારતીબેન રાઠોડ અને કવીતાબેન ભદ્રા દ્વારા વિવિધ યોગ કરાવવામા આવ્યા હતા. “વિશ્વ યોગ દિવસ” ની ઉજવણી અંતર્ગત અધિકારી/કર્મચારીઓ અને જામનગરવાસીઓએ આ કાર્યક્રમમાં જોડાઈને યોગાસનો કર્યા હતા.