ITRA જામનગરમાં WHO સમિતિની બેઠક મળી, પરંપરાગત દવાઓ પરની બે દિવસીય સૌપ્રથમ વૈશ્વિક સમિટ ગુજરાતના આંગણે યોજાશે

દેશ-વિદેશ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

WHO દ્વારા વિશ્વમાં સૌ પ્રથમ વાર “ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ” 17 અને 18 ઓગસ્ટ 2023ના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર, ગુજરાત, ભારતમાં યોજાશે. G20 દેશોના આરોગ્ય મંત્રીસ્તરની બેઠકની સાથે સાથે વિશ્વની પ્રાચિનતમ પરંપરાગત પદ્ધતિ એટલે આયુર્વેદ અને એ ઉપરાંત બીજી 140થી વધુ પ્રકારની ટ્રેડિશનલ મેડિસિનની પદ્ધતિઓ પર રાજકીય પ્રતિબદ્ધતા અને એવિડન્સ બેઝડ કાર્યવાહી માટે યોજવામાં આવી રહી છે, જે વિશ્વભરના કરોડો લોકો માટે તેમના સ્વાસ્થ્ય અને સુખાકારીની જરૂરિયાતોને સંબોધવા માટેનું પ્રથમ સિમાચિહ્ન બની રહેશે.

ગ્લોબલ સમિટનું આયોજન WHO અને ભારત સરકાર, જે 2023માં G20 નું પ્રમુખપદ ધરાવે છે તેના દ્વારા સહભાગીદારીથી કરવામાં આવશે,. આ સમિટ ટ્રેડિશનલ મેડિસિનના વપરાશકર્તાઓ અને સમુદાયો, શિક્ષણવિદો, ખાનગી ક્ષેત્ર, સામાજિક સંસ્થાઓ, રાષ્ટ્રીયનીતિ નિર્માતાઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, સહિત તમામ હિતધારકો માટે આરોગ્ય અને ટકાઉ વિકાસમાં પરંપરાગત દવાના યોગદાન પર શ્રેષ્ઠ પ્રથાઓ અને ગેમ ચેંજિંગ એવિડન્સ, ડેટા અને નવીનતા આપલે કરવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ બનશે.

સદીઓથી પરંપરાગત અને કોમ્પ્લિમેન્ટરી મેડિસિન્સ લોકો અને સમૂદાયોમાં આરોગ્ય માટે એક અબિન્ન સ્રોત છે એટલું જ નહીં, તે આધુનિક સિધ્ધાંતો અને તબીબી ગ્રંથોના પાયા પણ ટ્રેડિશનલ મેડિસિનના આધારે જ રચાયા છે. આજે લગભગ 40% ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો કુદરતી ઉત્પાદનનો આધાર ધરાવે છે, અને સિમાચિહ્નરૂપ દવાઓ જેમ કે એસ્પિરિન, આર્ટેમિસિનિન અને બાળકોના કેન્સરની સારવાર સહિતની ઘણી દવાઓનો સ્ત્રોત ટ્રેડિશનલ મેડિસિનમાંથી મેળવે છે. જીનોમિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિત નવા સંશોધનો આ ક્ષેત્રમાં પ્રવેશી રહ્યાં છે અને હર્બલ દવાઓ, કુદરતી ઉત્પાદનો, આરોગ્ય, સુખાકારી અને સંબંધિત મુસાફરી માટેના ઉદ્યોગો વધી રહ્યાં છે. હાલમાં, 170 સભ્ય દેશોએ ટ્રેડિશનલ મેડિસિનના ઉપયોગ અંગે WHOને જાણ કરી છે અને તેના સલામત, ખર્ચ-અસરકારક અને ન્યાયપૂર્ણ ઉપયોગ માટે નીતિઓ, ધોરણો અને નિયમનોની જાણ કરવા પુરાવા અને ડેટાની વિનંતી કરી છે.

ટ્રેડિશનલ મેડિસિન્સ માટે વધતા વૈશ્વિક રસ અને માંગના પ્રતિભાવમાં, WHO એ ભારત સરકારના સહયોગ સાથે ગુજરાતના જામનગર ખાતે એપ્રિલ-2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મોરિશિયસ ના વડાપ્રધાન પ્રવીણ જગંનોથ અને ડબ્લ્યુ.એચ.ઓ.ના ડાયરેક્ટર જનરલ ટેડરોસની ઉપસ્થિતિમાં “WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન”નું ભૂમિપૂજન કરાયું હતું. આ WHO GCTM વિશ્વના લોકોના આરોગ્ય માટે પ્રાચીન પરંપરા અને આધુનિક વિજ્ઞાનને ઉત્પ્રેરિત કરવાના મિશન સાથે જ્ઞાન કેન્દ્ર તરીકે લોકો અને દુનિયાની સુખાકારી માટે WHO હેડ ક્વાર્ટર અને તેના છ પ્રાદેશિક કાર્યાલયો દ્વારા કરવામાં આવતા પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓને વિશ્વના મુખ્ય પ્રવાહમાં લાવવાના ભગીરથ પ્રયાસોને વેગવાન બનાવવા ઇંધણ પૂરું પાડશે.

WHO GCTM વૈશ્વિક આરોગ્ય કવરેજ અને ટકાઉ વિકાસ માટે પરંપરાગત દવાના યોગદાનને શ્રેષ્ઠ બનાવવા માટે કેન્દ્ર ભાગીદારી, પુરાવા, ડેટા, જૈવવિવિધતા અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને સ્થાનિક વારસો, સંસાધનો અને અધિકારોના આદર રાખીને માર્ગદર્શન પૂરું પાડશે .

આ અંગે WHO દ્વારા આખા વિશ્વ માંથી પસંદ કરાયેલા નિષ્ણાતોની બનેલી પેનલ જેમાં અમેરિકા થી ડો. સુઝાન, ભારતના પ્રોફેસર ભૂષણ પટવર્ધન, યુનાઇટેડ નેશન્સના ડો.ઓબી, થાઈલેન્ડના ડો. અંચેલી, બ્રાઝીલના ડો. રિકાર્ડો, ઈરાનના ડો. રોશનક, મલેશિયાના ડો ગોહ ચેન્ગ, સાઉથ આફ્રિકાના ડો. માતસબીશ, જર્મનીના ડો. જ્યોર્જ સેફર, ન્યુઝિલેન્ડના ડો. સાયોન, ચીનના ડો ચુનયુંની સમિતિની મિટિંગ જામનગર ખાતે આવેલા ITRAના આયુર્વદ કેમ્પસમાં ધન્વંતરિ ગ્રાઉન્ડમાં હાલમાં જ બનાવાયેલી WHO GCTM ની ઇન્ટ્રિમ ઓફિસમાં 11-12 જુલાઈના રોજ મળેલી.

આ સમિતિ દ્વારા સમિટની થીમ, ફોર્મેટ, વિષયો અને સંબોધવાના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરી. આ પ્રસંગે ભારત સરકારના આયુષ મંત્રાલયના સચિવ વૈદ્યં રાજેશ કોટેચા અને WHO હેડક્વાર્ટરથી ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ઉપરાંત આખા વિશ્વમાંથી 25 જેટલા વિદ્વાનો જોડાયા હતા. આ સાથે આ સમિતિ એ ITRA જામનગરની હોસ્પિટલ અને રિસર્ચ લેબોરેટરી, લાઈબ્રેરી અને વિવિધ વિભાગોની મુલાકાત લઇ અત્યંત પ્રસન્નતા વ્યક્ત કરી હતી એવી માહિતી ભારત સરકારના આયુર્વેદના પ્રથમ રાષ્ટ્રીય મહત્વતા ધરાવતા સંસ્થાન ITRAના નિયામક પ્રોફેસર વૈદ્ય અનૂપ ઠાકર દ્વારા આપવામાં આવી હતી.