જામનગરમાંથી સગીરાને લવજેહાદ માટે ઈન્સ્ટાગ્રામથી ફસાવનાર મુંબઈથી ઝડપાયો..!!

ક્રાઈમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં લવ જેહદના ષડયંત્ર હેઠળ પરપ્રાંતિય દ્વારા સગીરાને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરી જવાનો કિસ્સો સામે આવ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશ નો મુસ્લિમ શખ્સ ઇન્સ્ટાગ્રામમાં હિન્દૂ નામ ધારણ કરી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી ઉઠાવી ગયાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જામનગર પોલીસે મુંબઈના નાલાસોપારા વિસ્તારમાંથી સગીરા સાથે આરોપીને ઝડપી લીધો છે. અને રિમાન્ડ ઉપર પણ લીધો છે.

જામનગરના રોજી પેટ્રોલ પંપ નજીકના વિસ્તારમાં રહેતી એક સગીરા સાથે મુસ્લિમ શખ્સે ઇન્સ્ટાગ્રામમાં હિન્દુ નામ ધારણ કરી મિત્રતા કેળવી હતી, અને પ્રેમ જાળમાં ફસાવી બે વર્ષ પહેલાં સગીરાનુ અપહરણ કરી ગયો હતો. જામનગર પોલીસ ની તપાસ ના અંતે મુંબઈના નાલાસોપારામાંથી આરોપીને સગીરા સાથે ઝડપી લીધો છે. જેને જામનગર લઈ આવ્યા પછી તેની અટકાયત કરી લઈ તેની સામે દુષ્કર્મ અંગેની કલમ તેમજ પોકસો એક્ટ અને એસ્ટ્રોસિટીની કલમ નો ઉમેરો કરવામાં આવ્યો છે.આરોપીએ ઇન્સ્ટાગ્રામમાં હિન્દુ નામ ધારણ કરીને યુવતી સાથે મિત્રતા કેળવી હોવાથી તે ઇન્સ્ટાગ્રામ ના એકાઉન્ટ ની ઊંડાણ પૂર્વકની તપાસ અને કોલ ડિટેઇલ ના આધારે આરોપીને શોધી કાઢ્યો હતો.

જામનગરના આ ચકચારી લવ જેહાદના પ્રકરણમાં જામનગરમા રહેતી દલિત જ્ઞાતિની માત્ર સાડા 12.5 વર્ષ ની કુમળી વયની એક સગીરા કે જે ગત 25,જુલાઈ, 2021ના દિવસે પોતાના ઘેરથી લાપતા બની હતી, જેથી પોલીસમાં ગુમ નોંધ કરાવાઈ હોવાનું અને તેણીનું કોઈ અજ્ઞાત શખ્સ અપહરણ કરી ગયો હોવાનું જાહેર કરાયું હતું.

આ અપહરણના બનાવની સીટી સી. ડિવિઝન પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી, ત્યારબાદ જામનગરના એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટના PI પી.બી. વાઘેલા તેમજ સ્ટાફના રણમલભાઈ ગઢવી, રાજદીપસિંહ ઝાલા, કિરણબેન અને ભાવનાબેન સહિતની ટીમ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી.સગીરાના મોબાઈલ ફોન ના અનુસંધાને ઇન્સ્ટાગ્રામ નું એકાઉન્ટ ચેક કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના કાળ દરમિયાન સગીરાના પિતા દ્વારા અભ્યાસ માટે તેની પુત્રીને મોબાઇલ ફોન અપાયો હતો, દરમ્યાન તેણીએ ઇન્સ્ટાગ્રામમાં રાહુલ નામના યુવક સાથે મિત્રતા કેળવી હતી. જેથી પોલીસની ટુકડીએ રાહુલ નામના વ્યક્તિને શોધવા માટેની કવાયત શરૂ કરી હતી, અને તેનું સરનામું છેક ઉત્તર પ્રદેશનું હોવાનું સામે આવ્યું હતું.

આથી જામનગરની પોલીસ ટુકડી ઉત્તરપ્રદેશ સુધી પહોંચી હતી. અને તપાસ દરમિયાન આરોપી હિન્દુ નહીં પરંતુ મુસ્લિમ હોવાનું અને તેનું નામ અલ્તાફ ઉર્ફે બબલુ ઇરસાદ અન્સારી હોવાનું જાણવા મળ્યું હતું. જેના ઇન્સ્ટાગ્રામની ઊંડાણપૂર્વકની તપાસ કરતાં તેણે રાહુલ ઉપરાંત અન્ય બે હિન્દુ નામ ધારણ કરીને ઇન્સ્ટાગ્રામ મારફતે યુવતીઓના સંપર્કમાં રહેતો હતો, જેમાં જામનગરની સગીરા તેના સંપર્કમાં આવી ગઈ હતી, અને હિન્દુ નામ ધારણ કરી પ્રેમજાળમાં ફસાવી લઇ તેનું 25 જુલાઈ 2021ના દિવસે જામનગરમાંથી અપહરણ કરી ગયો હતો, અને લાપતા બન્યો હતો.

આ આરોપીને શોધવા માટે પોલીસ દ્વારા વધુ કવાયત કરવામાં આવી હતી. આ દરમિયાન આરોપીના આધારકાર્ડના નંબર થી એક સીમકાર્ડ ખરીદાયું હતું, અને તે સીમકાર્ડ ચાલુ થતાં તેનું ટાવર લોકેશન મેળવવામાં આવ્યું હતું અને ટાવર લોકેશન મુંબઈના નાલાસોપારા વિસ્તારનું મળ્યું હતું. જેથી જામનગરની પોલીસ ટુકડીએ મુંબઈમાં ધામા નાખ્યા હતા, અને આખરે નાલાસોપારા વિસ્તારમાંથી આરોપીને શોધી કાઢ્યો હતો. જેની સાથે સગીરા પણ મળી આવી હતી.

આ બંનેને જામનગર લઈ આવ્યા પછી તેની અટકાયત કરવામાં આવી હતી, અને તેની સામે અપહરણ બાદ પોકસો ની કલમ, જ્યારે સગીરા દલિત જ્ઞાતિની હોવાથી એસ્ટ્રોસિટીની કલમ તેમજ સગીરા સાથે એક્ થી વધુ વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાથી દુષ્કર્મ ગુજારવા અંગેની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે.

આ આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી રીમાન્ડ પર લેવામાં આવતા સગીરાને ધર્માંતરણ કરવા માટે પણ કારસો રચ્યાનું પણ તપાસમાં ખુલ્યું છે. જ્યારે સગીરાને તબીબી ચકાસણી માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં મોકલવામાં આવી છે.જામનગરમાં પણ હિન્દુ નામ ધારણ કરીને ઇન્સ્ટાગ્રામમાં હિન્દુ યુવતી ને ફસાવવાનું લવ જેહાદની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે.