ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :
વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, જામનગરના સહયોગથી પડાણા ગામમાં તથા રિલાયન્સ રિફાઈનરી સંકુલમાં ઘનિષ્ટ એન્ટી-ટોબેકો જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ તમાકુના ઘાતક પરિણામોની જાણકારી આપવી, મોઢાંના કેન્સરનું સમયસર નિદાન કરવું અને ગ્રામજનોને તમાકુમુક્ત જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો હતો.
આ અભિયાન અંતર્ગત દંતચિકિત્સકો ડૉ. રોહિત અગરવાલ, ડૉ. મનીષા શ્રીકર અને ડૉ. ગીતા ડાંગરએ તમાકુના ઉપયોગના જોખમો, મોઢાંના કેન્સરનું સમયસર નિદાન અને તમાકુ છોડવાની રીતો વિશે માહિતીપ્રદ વ્યાખ્યાન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનો તથા રિફાઇનરીના કર્મચારીઓએ સામૂહિક રીતે તમાકુનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. પછીથી યોજાયેલા મોઢાંના કેન્સરના નિદાન માટેના નિ:શુલ્ક કેમ્પમાં 175થી વધુ ગ્રામજનો અને મોટી સંખ્યામાં રિફાઇનરી કર્મચારીઓ, ખાસ કરીને વાહનચાલકો, જોડાયા હતા. કેટલાક શંકાસ્પદ દર્દીઓના થૂંકના નમૂનાઓ લેવામાં આવ્યા હતા જેથી આગળની તબીબી તપાસ થઈ શકે.
જાગૃતિ અભિયાનને વધુ લોક ભાગીદારીયુક્ત બનાવવા કેમ્પના કેન્દ્રસ્થાને ‘સેલ્ફી બૂથ’ મૂકવામાં આવ્યું હતું. કેમ્પમાં જોડાનાર સૌ લોકોએ ‘તમાકુમુક્ત જીવન’ના સંદેશા સાથેના પ્લેકાર્ડ સાથે ઉત્સાહપૂર્વક ફોટાઓ લઈને સોશ્યલ મીડિયા મારફતે જાગૃતિ પ્રસરે તે દિશામાં પણ એક પગલું ભર્યું હતું.
આ સમગ્ર અભિયાનથી પડાણા અને રિફાઇનરી વિસ્તારમાં માત્ર જાગૃતિ જ નહિ, પરંતુ તમાકુ વિરોધી સંકલ્પમાં સમુદાયની સક્રિય ભાગીદારી જોવા મળી — જે તંદુરસ્ત ભવિષ્ય તરફ ઉઠાવેલું એક મહત્વપૂર્ણ પગલું છે.
ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સામાજિક ઉત્તરદાયિત્વના ભાગ રૂપે થતી અનેકવિધ પ્રવૃત્તિઓ પૈકીની આરોગ્ય સેવા અંતર્ગત તમાકુ નિષેધ અને મોઢાંના કેન્સરની પ્રાથમિક તપાસ નિયમિત રીતે પ્રતિવર્ષ હાથ ધરવામાં આવે છે, જેમાં છેલ્લાં ત્રણ વર્ષમાં આસપાસના ગામોના આશરે 500 જેટલા નાગરિકોને આવરી લઈને વ્યસન મુક્તિ માટે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે. સતત પ્રયત્નોના પરિણામે સંખ્યાબંધ લોકોએ વ્યસન મુક્તિનો માર્ગ સ્વિકાર્યો છે એટલું જ નહીં જે લોકોને વ્યસનના કારણે મુશ્કેલીની શરૂઆત થઈ ચૂકી હતી તેવા ગ્રામજનોની સંપૂર્ણ સારવાર સુધી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝએ સહયોગ પૂરો પાડીને તંદુરસ્ત સમાજના નિર્માણની જવાબદારી નિષ્ઠાપૂર્વક સુપેરે નિભાવી છે.