જામનગરમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે વાવાઝોડા બાદની પરિસ્થિતિ અંગે રિવ્યુ બેઠક યોજી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર જિલ્લામાં બિપરજોઈ વાવાઝોડાના પરિણામે ભારે પવન અને વરસાદના પરિણામે જામનગર જિલ્લાની સ્થિતિની સમીક્ષા અર્થે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે શનિવારના રોજ કલેકટર કચેરી ખાતે રિવ્યુ બેઠક યોજી હતી.

આ બેઠકમાં કલેકટર બી.એ.શાહે મંત્રીને વાવાઝોડા બાદની સમગ્ર જિલ્લાની પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું. મંત્રીએ બેઠકમાં ઉપસ્થિત પદાધિકારીઓ અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.તેમજ જે વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હોય ત્યાં પ્રાથમિકતા આપી વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા પીજીવીસીએલના અધિકારીઓને જણાવ્યું હતું.

લોકો તરફથી કોઈ રજૂઆતો આવે તો તેમની સમસ્યાનું નિવારણ લાવવા મંત્રીએ લગત અધિકારીઓને સૂચનો કર્યા હતા. કલેકટરના માર્ગદર્શનમાં તંત્રના આગોતરા આયોજનના પરિણામે જિલ્લામાં મોટું નુકશાન થયું નથી, તેમજ એક પણ જાન હાનિ થઈ નથી.તે બદલ મંત્રીએ તમામને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ શહેર અને જિલ્લામાં સફાઇ અભિયાન હાથ ધરવા અંગે સૂચન કર્યું હતું. અને અસરગ્રસ્તોને તાત્કાલિક કેશડોલ ચૂકવવામાં આવે તે પ્રકારે આયોજન હાથ ધરી ત્વરિત કામગીરી કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.