PGVCLના અધિકારીઓ સાથે બેઠક યોજી જામનગર જિલ્લાના વિજ પ્રશ્નોની કૃષિમંત્રી રાઘવજી પટેલે સમીક્ષા કરી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લાના વીજળીને લગતા પ્રશ્નોનો ઉકેલ લાવવા તેમજ નાગરિકો તથા ખેડૂતોની વિવિધ રજૂઆતોના નિરાકરણ માટે કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર બી.એ.શાહ સહિત પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી જેમાં મંત્રીને મળેલ લોકોની રજૂઆતો તથા પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરી પ્રશ્નો પરત્વે હકારાત્મક અભિગમ દાખવી સત્વરે તેનો નિકાલ લાવવા જણાવાયું હતું.

બેઠકમાં મંત્રીએ પાંચ વર્ષથી વધુ સમય માટે સોલાર પેનલ ધરાવતા ખેડૂતોને પીજીવીસીએલ કનેક્શન આપવા, ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીની અનિયમીતતા દૂર કરવા, જરૂર જણાય ત્યાં વીજ લાઈનનું સ્થળાંતર કરવાં, માંગણી મુજબનું કનેક્શન ફાળવવા તથા વિજ થાંભલા શિફ્ટિંગ કરવા, વીજ કનેક્શન માટે જરૂરી વિભાગોને દરખાસ્ત કરવા, શહેર નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરિવારોને સિંગલ કે થ્રી ફેઝ કનેક્શન તથા જ્યોતિ કનેક્શન આપવા, હડાવા ફીડરમાં પીવાના પાણી માટે ખાસ ફીડર ફાળવવા, ધ્રોલ-વંથલી સહિતના ફીડરમાં લો વૉલ્ટની સમસ્યા દૂર કરવાં, ઉદ્યોગ ફીડરોને રહેણાંક ફીડરથી અલગ કરવા, એચ.ટી. કનેક્શન ધરાવતા એકમોને વીજ પુરવઠો બંધ કરતા પહેલા જાણ કરવાં, નવા પોલ ઊભા કરી આસપાસના કનેક્શન આપવા, નમી ગયેલા તથા તૂટેલા પોલ દૂર કરવા, એસ.ટી. ડિવિઝનમાં નવી લાઈનનું કામ સત્વરે પૂર્ણ કરવાં તથા કનસુમરા તેમજ ખીજડીયા ખાતે નવી લાઈનમાં કામની વિગતો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી તેમજ સત્વરે આ કામો પૂર્ણ કરી નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા સૂચના આપી હતી. વધુમાં મંત્રીએ બેઠકમાં બિપરજોય વાવાઝોડા દરમિયાન પીજીવીસીએલના કર્મચારીઓએ કરેલ સરાહનીય કામગીરીને અભિનંદન પાઠવી બિરદાવી હતી.

આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચૌધરી, પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર પરમાર તથા સંલગ્ન કાર્યપાલક ઇજનેરઓ, સર્વે પ્રાંત અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.