“હર ઘર તિરંગા” અભિયાનને વેગ આપવા કમીશ્નર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” કાર્યક્રમ તા. 13/8/2022 થી તા. 15 /8/2022 સુધી વિવિધ રીતે યોજાનાર છે. જેેેના માટે કમિશનર વિજય કુમાર ખરાડી ની અધ્યક્ષતામાં ફાયર શાખાના કોન્ફરન્સ હોલમાં એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, આ બેઠકમાં વોર્ડના નોડલ ઓફિસર અને એસ. એસ. આઈ. ને આંગણવાડીના આશાવર્કરો ને “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત માહિતી પુરી પાડવામાં આવી હતી.

ભારતની આઝાદીના 75 માં વર્ષમાં રાષ્ટ્રનિર્માણની પ્રતિબદ્ધતા માટે રાષ્ટ્રધ્વજ સમગ્ર રાષ્ટ્રમાં ગૌરવનું પ્રતીક બને તે માટે સરકાર દ્વારા “હર ઘર તિરંગા” કાર્યક્રમનું આયોજન કરાયું છે, આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં “હર ઘર તિરંગા” કાર્યક્રમ આગામી સમયમાં શરૂ થનાર છે.

ગુજરાત રાજ્યના દરેક શહેરમાં આ કાર્યક્રમ થવાનો હોય જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ આ કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં સરકારી, ખાનગી કચેરીઓ, વેપારી ગૃહ, તમામ ઘરો, દુકાનો, શાળા, કોલેજોમા રાષ્ટ્રની શાન સમા તિરંગાને લહેરાવવામાં આવશે. જેના થકી રાષ્ટ્રના દરેક નાગરિક માં દેશભક્તિની ભાવના ઉજાગર થાય તેવા હેતુથી આ સમગ્ર કાર્યક્રમ “હર ઘર તિરંગા”નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમને જામનગર મહાનગરપાલિકાની જનતા સુધી વિશિષ્ટ રીતે પહોંચાડવામાં આવે અને સમગ્ર શહેરની જનતા “હર ઘર તિરંગા” કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાય તેવા આશયથી કમિશનર વિજય કુમાર ખરાડી ,નાયબ કમિશનર એ.કે. વસ્તાણીના અધ્યક્ષ સ્થાને ફાયર શાખાના કોન્ફરન્સ હોલમાં એક મિટિંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ,આ મિટિંગમાં વોર્ડ વાઈઝ નોડલ ઓફિસર, એસ.એસ.આઈ. , આશાવર્કર બહેનો સહિતના સ્ટાફ સાથે “હર ઘર તિરંગા” કાર્યક્રમની કમિશનર વિજયકુમાર ખરાડી એ વિસ્તૃત છણાવટ કરી હતી.

આ કાર્યક્રમ દરેક નાગરિક સુધી પહોંચે જન- જન સુધી તિરંગાની ગરીમાં જળવાઇ અને વિવિધ કાર્યક્રમો યોજાય તેવા આશય સાથે તારીખ 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી નિયમિત શાળા-કોલેજો આંગણવાડી અને સમગ્ર જામનગર શહેરમાં વિવિધ કાર્યક્રમોની હારમાળા યોજાનાર છે, આ અભિયાન માત્ર અભિયાન નહીં પરંતુ દેશભક્તિ નું પ્રતિક બની રહે તેવા આશય સાથે તમામ વોર્ડના એસ એસ આઈ, નોડલ ઓફિસર આશાવર્કરો ને માઈક્રો પ્લાનિંગ કરી “હર ઘર તિરંગા” કાર્યક્રમને ઘર -ઘર સુધી પહોંચાડવાની સુચના આપવામાં આવી હતી.

આ મિટિંગમાં કમિશનર વિજય કુમાર ખરાડી, નાયબ કમિશનર એ.કે. વસાણી, સિટી એન્જિનિયર ભાવેશ જાની, કા.ઇ. મુકેશ વરણવા, હાઉસિંગ વિભાગના ઇજનેર અશોક જોષી, ચીફ ફાયર ઓફિસર કે. કે. બિશ્નોઇ ઉપસ્થિત રહ્યા હતા.