જામનગરમાં I.T.R.A. દ્વારા હરસ- મસાની સારવાર માટે કેમ્પ યોજાયો, 139 જેટલા દર્દીઓએ ભાગ લીધો

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં આયુર્વેદ હોસ્પિટલ, પંચકર્મ ભવન, શલ્ય તંત્ર વિભાગ દ્વારા ગત તા. 19 મી મે ના રોજ એનોરેક્ટલ રોગ એટલે કે હરસ મસા, ફિશર, કબજિયાત વગેરેની સારવાર માટેનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો. શલ્ય તંત્ર વિભાગના સ્વર્ગસ્થ વડા ડો. સી. વી. નહેરૂની પુણ્યસ્મૃતિમાં યોજાયેલા આયુર્વેદિક કેમ્પમાં લોકોને હોસ્પિટલ તંત્ર નિઃશુલ્ક સારવાર તેમજ આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. કેમ્પમાં 139 જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં ડો. પશ્મિના જોશીએ પ્રાસ્તાવિક પ્રવચન આપ્યું હતું. તેમણે સ્વ. ડો. સી. વી. નહેરૂના જીવન- કવન અને તેમના યોગદાન અંગે પ્રકાશ પાડ્યો હતો. ડાયરેક્ટર ડો. અનુપ ઠાકરે હોસ્પિટલમાં દર્દીઓને મળતી સેવાઓ વિષે માહિતી આપી હતી. સ્વ. ડો. સી. વી. નહેરૂના પરિવાર તરફથી શલ્ય તંત્ર વિભાગને ફોલર બેડનું અનુદાન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું ઉદ્ઘાટન ડાયરેક્ટર ડો. અનુપ ઠાકર, નાયબ અધિક્ષક ડો. સી. યુ. ખુંટ, આર. એમ. ઓ. ડો. જોયલ પટેલ, શલ્ય તંત્ર વિભાગના વડા ડો. ટી. એસ. દુધમલ, ડો. પશ્મિના જોશી અને ડો. વાય. આર. મેઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વિભાગના વડા ડો. ટી. એસ. દુધમલે આભારવિધિ કરી હતી.